ઇન્ડોનેશિયા યાત્રા ભાગ ૨ – દુનિયા ઉપર પા પા પગલી

KhabarPatri News
3 Min Read

આજે આપણે ગયા અંકનો દોર હાથમાં લઈએ. ચાલો જોઈએ બાલીના અન્ય મંદિરો. TANAH LOT. આનો શાબ્દિક અર્થ થાય છે દરિયામાં ની જમીન એટલેકે ભૂશિર. બાલીના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ડેનપાસારથી લગભગ 20 કી.મી. દુર દરિયા કિનારે એક વિશાળ ચટ્ટાન અને તેમાં નાની ગુફા, અનેક વર્ષોથી સતત દરિયાના મોજાઓનો માર સહન કરી રહી છે.  અરે ! સમજી ગયા ને? બસ આજ તો છે TANAHLOT મંદિર. 16મી સદીની વાત છે. સંત DANGHYANGNIRARTHAફરતા ફરતા આ દક્ષિણ છેડે આવી પહોચ્યા અને તેમની નજરે આ સુંદર રોક આઈલેન્ડ આવ્યો. તેમણેઅહી થોડો વિશ્રામ કર્યો તે દરમ્યાન કેટલાક માછીમારો એ તેમને જોયા અને ફળ વગેરે ઉપહાર લાવ્યા. પછી તેમને માછીમારોને કહ્યું  આ ખડક ઉપર મંદિર બંધો અને આ જગ્યાએ બાલીના સાગર દેવની પૂજા કરો. બસ આમ મંદિર બની ગયું. હવે ત્યાં દરિયા દેવ ની સાથે સાથે શ્રી NIRARTHA ની પૂજા પણ કરવામાં આવે છે. બાલીના દરિયા કિનારે આવેલા સાત મુખ્ય મંદિરોમાંનું આ પણ એક મુખ્ય મંદિર છે. સમયના મારથી અહીના અમુક ખડકો જર્જરિત થઈ ગયા હતા. આવા સમયે 1980માં જાપાનીસ સરકારે આ પ્રાચીન મંદિરનું  સમારકામ કરાવવા 800 લાખ અમેરિકન $ ની મદદ કરી હતી. આ જગ્યા અને આસપાસની ભૌગોલિક રચના મને હવાઈ ટાપુઓની યાદ આપી ગઈ. અત્યંત સુંદર રળીયામણું વાતાવરણ.

આવુજ એક અતિ સુંદર સ્થાન એટલે – ઉલુવાતું મંદિર. હિન્દ મહાસાગર ની સોડમાં ઉભેલી 70મીટર ઉચી કરાડ અને એ ખડક પર આવેલું આ મંદિર. બસ સાગરના ઘૂઘવતા મોજાઓ સતત આ ખડકના પગ પખાળતા ગરજ્યા કરે છે. 11મી સદીથી ઉભેલું આ નાનું મંદિર DANGHYANGNIRARTHA ની પદ્માસન સ્થિતિમાં લીધેલી સમાધિ અને મોક્ષની યાદ તાજી કરે છે. અરે હા એક વાત આ જગ્યા ખુબ તોફાની વાંદરાઓની વસાહત વાળી છે. તે આવનારા પ્રવાસીઓને હેરાન કરેછે. ચશ્માં પહેરનારા પ્રવાસીઓ ખાસ ચેતી જાય. વાંદરાઓ તેમના ચશ્માં ખૂંચવી જાય છે.

BEDUGUL પાસે આવેલ BARTAN તળાવના કિનારે પર્વતોમાં આવેલું મંદિર એટલે PURA BERATAN. 1633 માં આ મંદિર બનાવાયું. બાલીના તમામ મીઠા પાણીના સ્ત્રોતો ને સન્માનવા માટે  જળ દેવતાનું આ મંદિર છે. અહીની ખેતી સમૃદ્ધિ ને લીધે BRATANતળાવ ને પવિત્ર ગણવામાં આવે છે.હવે વાત કરીએ TIRTAEMPUL મંદિરની. 962 A.D.માં એક વિશાળ પાણીના ઝરણા ઉપર બાંધવામાં આવેલું છે. ત્યાં ભક્તજનો માટે બે કુંડ આવેલા છે.જેમાં સતત તાજું અને સ્વચ્છ ઝરણાનું પાણી પડ્યા કરે છે.તેમાં ડૂબકી મારીને હિંદુ યાત્રિકો પવિત્ર થાય છે.આપણે જેમ ગંગામાં કે અન્ય પવિત્ર જલકુંડ માં સ્નાન કરીએ છીએ તેમ જ તો. આ મંદિર વિષ્ણુ કે નારાયણ નું છે. જોકે બાલી હિંદુ સંસ્કૃતિનું ધામ છે એટલે અહી નાના મોટા અનેક મંદિરો આવેલા છે. પણ આ હિંદુ પ્રજા ભારતની હિંદુ પ્રજાથી અમુક અંશે જુદી પડે છે. તે સ્પષ્ટ અનુભવી શકાય છે. અહી આપણને હિંદુ ધાર્મની વિશાળતા નો અનુભવ થાય છે. આમ છતાં તેલોકોને ભારતના હિંદુઓ માટે ઘણું માન છે. અને મંદિરમાં પણ તેમના પ્રવેશ માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

ઉભા રહો આવું છું અનેક માહિતી સાથે પણ આવતા અંકે.

  • નિસ્પૃહા દેસાઇ

Share This Article