અમદાવાદ : તા. 12 જૂન 2025 ને ગુરુવારના રોજ બપોરે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ 787 ડ્રીમલાઈનર ટેકઓફ થયાની ગણતરી ની મિનિટોમાં જ ક્રેશ થયું હતું.
આ વિમાનમાં સવાર તમામ 242 મુસાફરો પૈકી એક જ મુસાફર જીવિત હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ માહિતી આપી હતી કે, પોલીસને વિમાનમાં 11A નંબરની સીટ પર એક જીવિત મુસાફર મળ્યો છે.
આ વિમાનમાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે મીડિયા ને જણાવ્યું છે કે, ‘આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને 11A સીટ પર એક મુસાફર જીવિત મળ્યો છે.‘ પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.