અમદાવાદ: રુમેટોલોજી અવેરનેસ મંથ અંતર્ગત અમદાવાદમાં ‘વાસ્ક્યુલાઈટિસ પેશન્ટ સપોર્ટ ગ્રુપ’ની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ વાસ્ક્યુલાઈટિસ સોસાયટી ઑફ ઇન્ડિયા અને રુમેટોલોજી એસોસિએશન ઑફ ગુજરાત (RAG) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન, માહિતી અને માનસિક સહારો પૂરું પાડવાનો છે.
વાસ્ક્યુલાઈટિસ એક દુર્લભ ઓટોઇમ્યુન રોગ છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાની જ રક્તવાહિનીઓ પર હુમલો કરીને તેમાં સોજો પેદા કરે છે. આ રોગ ત્વચા, કિડની, ફેફસાં અને મગજ જેવા મહત્વપૂર્ણ અંગોને અસર કરી શકે છે. તેની વૈશ્વિક અસર માત્ર 0.02% થી 0.04% જેટલી છે, છતાં તેની ગંભીરતા વધુ હોવાથી સમયસર નિદાન અત્યંત જરૂરી છે.
આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંદેશ આપતા કહ્યું હતું કે, આવી પહેલ દર્દીઓને સહાનુભૂતિ અને યોગ્ય માર્ગદર્શન આપવાના દિશામાં મહત્વપૂર્ણ છે. તેમણે રુમેટોલોજી જાગૃતિ મહિના તરીકે એપ્રિલની ઉજવણીને પણ પ્રશંસનીય ગણાવી હતી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વાસ્ક્યુલાઈટિસનું નિદાન ઘણી વખત પડકારજનક બને છે, કારણ કે તેના લક્ષણો ટીબી, ચેપ અથવા કેન્સર જેવી અન્ય બીમારીઓ જેવા દેખાય છે. ANCA ટેસ્ટ, કોમ્પ્લીમેન્ટ લેવલ્સ અને ટિશ્યૂ બાયોપ્સી જેવી તપાસો માટે મર્યાદિત સુવિધાઓ પણ નિદાનમાં વિલંબનું કારણ બને છે.
ઇન્ડિયન રુમેટોલોજી એસોસિએશનના પ્રમુખ ડૉ. અમન શર્માએ જણાવ્યું કે ભારતમાં ઘણી વખત સમયસર નિદાન થતું નથી, જેના કારણે ગંભીર જટિલતાઓ ઊભી થાય છે. તેમણે દેશભરમાં જાગૃતિ વધારવા અને સારવાર સુધી પહોંચ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
SVP હોસ્પિટલના રુમેટોલોજી વિભાગના ડૉ. સપન પંડ્યાએ જણાવ્યું કે અમદાવાદમાં સપોર્ટ ગ્રુપ શરૂ થવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને વિશ્વસનીય માહિતી અને માર્ગદર્શન મળશે, જે તેમને વધુ સારા જીવન માટે સશક્ત બનાવશે.
ડૉ. રીના શર્માએ જણાવ્યું કે આ રોગમાં ચામડીના રેશ, થાક અને અંગોની સમસ્યાઓ જેવા લક્ષણો જોવા મળે છે અને સમયસર ANCA આધારિત નિદાન તથા રિતુક્સિમેબ જેવી સારવાર મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમ દરમિયાન ડૉ. વિષ્ણુ શર્મા, ડૉ. અનુજ શુક્લા અને ડૉ. ધૈવત શુક્લાની પણ હાજરી રહી હતી.
આ ઉપરાંત, રુમેટોલોજી અવેરનેસ મંથ અંતર્ગત 19 એપ્રિલે શ્રીમતી એન.એચ.એલ. મેડિકલ કોલેજમાં CME કાર્યક્રમ યોજાશે, જેમાં દેશભરના જાણીતા નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
તેમજ, 26 એપ્રિલે અમદાવાદના રિવરફ્રન્ટ પર સવારે 7 થી 9 વાગ્યા સુધી રુમેટોલોજી અવેરનેસ વોકેથોનનું આયોજન કરવામાં આવશે. “Move Free, Live Pain-Free” સંદેશ સાથે યોજાનાર આ વોકેથોનનો હેતુ લોકોને સાંધાના આરોગ્ય અને ઓટોઇમ્યુન રોગો વિશે જાગૃત કરવાનું છે.
