અમદાવાદની નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની ભવ્ય ઉજવણી

1 Min Read

અમદાવાદ: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ભગવાન જગન્નાથજીની 149મી પવિત્ર રથયાત્રા નિમિત્તે ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર “જય જગન્નાથ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ ધાર્મિક પર્વની ઉજવણી કરી હતી.

કાર્યક્રમની શરૂઆત ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તથા આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથ સાથે પ્રતિકાત્મક રથયાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ભગવાન જગન્નાથજીના જીવન, રથયાત્રાના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ અંગે માહિતીસભર રજૂઆત કરી હતી. ઉપરાંત ભક્તિગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક રજૂઆતો દ્વારા સૌનું મન મોહી લીધું હતું.

શાળા સંચાલન દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને નૈતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આવા કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમના અંતે સૌએ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરી દેશ અને સમાજના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

Share This Article