અમદાવાદના રાંચરડા સ્થિત સંકટમોચન મહાવીર નીબ કરૌરી મહારાજ મંદિર ખાતે 19 જુલાઈ 2026, રવિવારના રોજ 100મો સુંદરકાંડ પાઠ અત્યંત ભક્તિભાવ, શિસ્ત અને ઉત્સાહ સાથે સફળતાપૂર્વક યોજાયો. મંદિરનું લોકાર્પણ 23 ઓગસ્ટ 2024ના રોજ થયું હતું અને ત્યારથી નિયમિત સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવતું રહ્યું છે, જેના પરિણામે આજે આ પવિત્ર શ્રેણી 100મા પાઠ સુધી પહોંચેલી છે.
આ વિશેષ પ્રસંગે 1200થી વધુ ભક્તોએ એકસાથે સુંદરકાંડ પાઠમાં ભાગ લીધો અને ત્યારબાદ યોજાયેલી મહા આરતીમાં ઉપસ્થિત રહી હનુમાનજી મહારાજ તથા બાબા નીબ કરીોરી મહારાજના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. કાર્યક્રમ દરમિયાન દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓની મોટી ઉપસ્થિતિ જોવા મળી, જેને કારણે સમગ્ર મંદિર પરિસરમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાયો.
મંદિરમાં રક્ષાબંધન, ગણેશ ઉત્સવ, શિવરાત્રી, નવરાત્રી સહિતના વિવિધ તહેવારો સંપૂર્ણ ભવ્યતા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ઉપરાંત, અંધજન મંડળમાંથી વિદ્યાર્થીઓને 2–3 વખત રામનવમી, સુંદરકાંડ પાઠ તેમજ વિવિધ તહેવારોમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, તેમજ વૃદ્ધાશ્રમના વરિષ્ઠ નાગરિકોને પણ મંદિરના કાર્યક્રમોમાં જોડવામાં આવ્યા હતા.
મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણ ગર્ગએ જણાવ્યું હતું કે મંદિર આવનારા તમામ તહેવારો અને ધાર્મિક કાર્યક્રમોને પણ પૂર્ણ ભવ્યતા સાથે ઉજવતું રહેશે. નિયમિત સેવાભાવી ભક્તો કીર્તિભાઈ પટેલ, ભરતભાઈ જોષી, રાહુલભાઈ બારોટ, નિરવભાઈ પટેલ અને ઋષભભાઈ શાહએ જણાવ્યું હતું કે આ વખતે ભીડ અસાધારણ હતી અને 100મા સુંદરકાંડ પાઠનો સમગ્ર અનુભવ અવિસ્મરણીય રહ્યો.

