અમદાવાદ: કેન્યાના કેરિચો ખાતે ચાલી રહેલી પૂજ્ય મોરારિબાપુની રામકથા દરમિયાન અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલી આગ તેમજ યુગાન્ડામાં થયેલા બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય પણ જાહેર કરવામાં આવી છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં પ્રાપ્ત માહિતી મુજબ 9 લોકોના કરુણ મોત થયા હતા, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામના પરિવારજનોને પ્રતિ પરિવાર ₹15,000 મુજબ કુલ ₹1,35,000ની સહાય પૂજ્ય મોરારિબાપુ દ્વારા અર્પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત, 18 જુલાઈના રોજ મહુવા નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા એક વ્યક્તિના પરિવારને પણ ₹15,000ની સહાય આપવામાં આવી છે.
બીજી તરફ, પૂર્વ યુગાન્ડાના કાપચોરવા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ સીપી ધોધની મુલાકાતે ગયેલા શાળાના વિદ્યાર્થીઓની બસ અકસ્માતગ્રસ્ત થતાં 20 બાળકો સહિત કુલ 21 લોકોના મોત થયા હતા. આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા તમામના પરિવારજનોને પ્રતિ પરિવાર ₹15,000 મુજબ કુલ ₹3,15,000ની સહાય જાહેર કરવામાં આવી છે. આ સહાય સ્થાનિક શ્રોતાઓ દ્વારા સ્થાનિક ચલણમાં પરિવારજનો સુધી પહોંચાડવામાં આવશે.
પૂજ્ય મોરારિબાપુએ ત્રણેય દુર્ઘટનાઓમાં અવસાન પામેલા આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હનુમાનજીના ચરણોમાં તેમની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

