ગાંધીનગર: મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી વિવિધ પહેલો દ્વારા મહિલાઓને આગળ વધવા માટે તકો પૂરી પાડે છે, તેમની સિદ્ધિઓને માન્યતા આપે છે અને નેતૃત્વ માટે પ્રોત્સાહિત કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશમાં મહિલા સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પગલા તરીકે નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આ બિલ મહિલાઓના રાજકીય સશક્તિકરણ માટે ઐતિહાસિક ગણાઈ રહ્યું છે.
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જ્યારે લોકસભામાં આ બિલ રજૂ કર્યું, ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયૂર જોશી લોકસભામાં હાજર રહ્યા હતા.
પ્રસ્તાવિત અધિનિયમ મુજબ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલું શાસન વ્યવસ્થામાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવશે તેમજ નિર્ણય પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરશે.
ઉદગમ ટ્રસ્ટે આ નિર્ણયને મહિલાઓ માટે સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર ગણાવ્યો છે.
