સુરેન્દ્રનગર: ભરવાડ સમાજના સંઘ પર ટ્રક કાળ બનીને ફરી વળ્યો, 7 લોકોના મોત

Rudra
1 Min Read

સુરેન્દ્રનગર: સોમવારની વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લખતર–વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક બનેલી આ ઘટનામાં 7 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે.

મળતી માહિતી મુજબ, ભરવાડ સમાજના મુંધવા પરિવારના શ્રદ્ધાળુઓ રાજકોટ જિલ્લાના ગઢકા ગામથી ડેકા વાળા સ્થિત મહાદેવજીના મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા. ત્યારે હાઈવે પર ઉભેલા એક ડમ્પરને ક્રોસ કરતી વેળાએ પાછળથી આવી રહેલી બેકાબૂ ટ્રકે યાત્રિકોને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ 6 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ડમ્પર ચાલકનું વિરમગામ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.

અકસ્માતમાં મૃતકોના નામ

* મસાભાઈ કરસનભાઈ મુંધવા
* જાલુબેન મસાભાઈ મુંધવા
* રાણીબેન મંગાભાઈ લાંબરીયા
* જાલુબેન વેલાભાઈ મુંધવા
* વિજુબેન પ્રવીણભાઈ મુંધવા
* વજીબેન વિભાભાઈ મુંધવા
* એક ડમ્પર ચાલક

ઘટનાની જાણ થતા જ લખતર અને વિરમગામ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. અકસ્માતની ભયાનકતા એટલી હતી કે મૃતદેહોને એકત્ર કરવા માટે ભારે સાધનોનો ઉપયોગ કરવો પડ્યો હતો. મૃતદેહોને લખતર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *