અમદાવાદ: ‘રક્તદાન… મહાદાન…’ ના પવિત્ર સંકલ્પ સાથે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે માનવતાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. અખાત્રીજ અને ભગવાન પરશુરામ જયંતિના પાવન અવસરે શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રહ્મસમાજ દ્વારા આયોજિત સ્વૈચ્છિક રક્તદાન શિબિર ઉત્સાહભેર સંપન્ન થઈ.

રવિવાર અને પરશુરામ જયંતિના શુભ સંયોગને કારણે સવારથી જ બાપુનગર સ્થિત શાયોના માર્કેટ ખાતે રક્તદાતાઓની લાંબી કતારો જોવા મળી. યુવાનો થી લઈને વડીલો સુધી તમામ વયના લોકો સેવા યજ્ઞમાં જોડાયા અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ સામાજિક જવાબદારી અને માનવસેવાના ઉત્તમ ઉદાહરણ તરીકે પણ ઉભરી આવ્યો. દરેક રક્તદાતાને સંસ્થા દ્વારા પ્રોત્સાહક ભેટ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
સંસ્થાના અગ્રણી શ્રી પંકજ રાજગુરુએ જણાવ્યું હતું કે, “અખાત્રીજના દિવસે કરાયેલું દાન અક્ષય રહે છે અને રક્તદાનથી મહાન દાન બીજું કોઈ નથી. આજના દિવસે સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા દર્શાવાયેલો ઉત્સાહ ખરેખર પ્રેરણાદાયક છે.”
આ રક્તદાન શિબિર દ્વારા સમાજમાં સેવા, સમર્પણ અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આયોજકોના સંકલ્પ અને સમાજના સહકારથી આ સેવાયજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
