અમદાવાદમાં ‘NAAD Resonance: સંગીત, યોગ અને સાઉન્ડ હીલિંગથી લોકોએ અનુભવી આંતરિક શાંતિ

3 Min Read

અમદાવાદ: આજના ઝડપી અને ડિજિટલ યુગમાં સતત વધતા માનસિક તણાવ વચ્ચે આંતરિક શાંતિ અને માનસિક પ્રફુલ્લતા માટે અમદાવાદમાં એક અનોખો અનુભવ યોજાયો હતો. સાયન્સ સિટી રોડ સ્થિત ક્લબ બેબીલોન ખાતે શ્રી ફાઉન્ડેશન દ્વારા ‘NAAD Resonance’ નામના વિશિષ્ટ સાઉન્ડ હીલિંગ અને યોગ અનુભવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરંપરાગત યોગને આધુનિક સાઉન્ડ હીલિંગ, ડિજિટલ મ્યુઝિક અને ઇમર્સિવ વિઝ્યુઅલ્સ સાથે જોડવામાં આવ્યો હતો.

વાયરલેસ હેડફોન્સથી અનુભવાયો ‘નાદ’

‘NAAD Resonance’નું મુખ્ય આકર્ષણ સાઉન્ડ હીલિંગ રહ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનારા સહભાગીઓને ખાસ વાયરલેસ હેડફોન્સ આપવામાં આવ્યા હતા. તેના માધ્યમથી પવિત્ર ધ્વનિ તરંગો, નાદ અને સંગીતનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. બહારના ઘોંઘાટથી સંપૂર્ણપણે અલગ થઈ સહભાગીઓએ સંગીતના તરંગો સાથે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શાંત વાતાવરણમાં સંગીત અને ધ્વનિના અનુભવથી તેમણે આંતરિક શાંતિ અને એકાગ્રતાનો અનુભવ કર્યો હતો.

oplus_2097154

યોગ માત્ર આસન નહીં, આંતરિક યાત્રા

આ કાર્યક્રમમાં યોગને માત્ર શારીરિક કસરત કે આસનો પૂરતું મર્યાદિત રાખવામાં આવ્યું નહોતું. યોગને એક આંતરિક યાત્રા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. સંગીત સાથે શ્વાસ નિયંત્રણ અને વિવિધ યોગિક પ્રક્રિયાઓનું સંયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સહભાગીઓને પોતાના મન અને શરીર સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવાની તક મળી હતી.

‘NAAD Resonance’માં સાઉન્ડ ઉપરાંત ઇમર્સિવ વિઝ્યુઅલ્સ અને એમ્બિયન્સ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. હોલમાં ખાસ વિઝ્યુઅલ પ્રોજેક્શન, લાઇટિંગ અને સંગીતના સંયોજનથી શાંત અને આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. સાઉન્ડ અને વિઝ્યુઅલ્સના આ સંયોજનથી સમગ્ર અનુભવ વધુ ઇમર્સિવ બન્યો હતો.

‘ટેક્નોલોજી અને ભારતીય પરંપરાનું જોડાણ જરૂરી’

શ્રી ફાઉન્ડેશનનાં ફાઉન્ડર પ્રિયા મહેતાએ જણાવ્યું હતું કે, આજની દોડધામભરી જિંદગીમાં લોકો શારીરિક કરતાં માનસિક રીતે વધુ થાકી રહ્યા છે. ‘NAAD Resonance’ પાછળનો હેતુ ટેક્નોલોજી અને પ્રાચીન ભારતીય પરંપરાઓને એકસાથે લાવી લોકોને પોતાના અંતરાત્મા સાથે જોડાવા માટે શાંત અવકાશ આપવાનો છે. તેમના જણાવ્યા મુજબ સંગીત, યોગ અને શ્વાસનું સંયોજન વ્યક્તિને અંદરથી રિચાર્જ કરવામાં મદદરૂપ બની શકે છે.

શ્રી ફાઉન્ડેશનના સિનિયર મેમ્બર અમિત મહેતાએ જણાવ્યું હતું કે ‘NAAD Resonance’ માત્ર એક ઇવેન્ટ નહોતું, પરંતુ મનને થોભાવી પોતાની અંદર જોવાની સુંદર તક હતી. સંગીત, યોગ અને ઇમર્સિવ વાતાવરણના સંયોજનથી સહભાગીઓએ શાંતિ અને નવી ઊર્જાનો અનુભવ કર્યો હતો.

કાર્યક્રમના અંતે સહભાગીઓએ પણ ‘NAAD Resonance’ના અનુભવને મનને શાંત કરનારો અને નવી ઊર્જાનો સંચાર કરનારો ગણાવ્યો હતો. આધુનિક જીવનશૈલી વચ્ચે યોગ, નાદ અને આંતરિક સુખાકારીને નવી પેઢી સાથે જોડવાના પ્રયાસરૂપે શ્રી ફાઉન્ડેશનનો આ કાર્યક્રમ અલગ પ્રકારનો અનુભવ બની રહ્યો હતો.

Share This Article