ગુજરાત GST સુધારા વિધેયક વિધાનસભામાં પસાર: નાના વેપારીઓને 3 દિવસમાં GST નોંધણી, 7 દિવસમાં 90% રિફંડ

56મી GST કાઉન્સિલની ભલામણો મુજબ ‘ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ને વધુ વેગ

ગુજરાત વિધાનસભામાં રાજ્યના GST કાયદામાં સુધારા માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 56મી GST કાઉન્સિલની ભલામણોના આધારે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા સુધારાઓ સાથે સુસંગતતા જાળવવા આ વિધેયક રજૂ કર્યું હતું.

નાણામંત્રીએ જણાવ્યું કે GSTમાં સરળીકરણના પરિણામે ગુજરાતમાં ગત નાણાકીય વર્ષ દરમિયાન 99.6% રિટર્ન સમયસર ભરાયા, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. ગુજરાતના કરદાતાઓ સમયસર રિટર્ન ભરવામાં સતત પાંચ વર્ષથી દેશમાં પ્રથમ ક્રમે છે.

મુખ્ય સુધારા

🔹 GST નોંધણીમાં ઝડપ: નાના વેપારીઓને ફેસલેસ સિસ્ટમ દ્વારા માત્ર 3 દિવસમાં GST નોંધણી અને પ્રમાણપત્ર મળશે.

🔹 ઝડપી રિફંડ: ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કિસ્સામાં 7 દિવસમાં 90% પ્રોવિઝનલ રિફંડ આપવાની જોગવાઈ થશે.

🔹 નિકાસ રિફંડમાં રાહત: વેરાની ચુકવણી સાથે નિકાસ કરેલા માલના રિફંડ માટેની હાલની ₹1,000ની મર્યાદા દૂર કરવામાં આવશે.

🔹 વેચાણ પછીના ડિસ્કાઉન્ટ: પોસ્ટ-સેલ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ નોટ અને વેરા શાખ રિવર્સલની પ્રક્રિયા વધુ સરળ બનશે.

🔹 ક્રેડિટ નોટમાં સ્પષ્ટતા: વેચાણ પછી આપવામાં આવતા ડિસ્કાઉન્ટ માટે ક્રેડિટ નોટ ઇસ્યૂ કરવાની જોગવાઈ વધુ સ્પષ્ટ કરવામાં આવશે.

નાણામંત્રીએ જણાવ્યું કે આ સુધારાઓથી અનુપાલનનો બોજ ઘટશે, વેપાર-ઉદ્યોગને વધુ સુગમતા મળશે અને ખાસ કરીને નાના વેપારીઓ તથા ઉદ્યોગકારોના વર્કિંગ કેપિટલમાં રાહત મળશે. આ સુધારાઓ ગુજરાતમાં GSTના વધુ અસરકારક અને પારદર્શક અમલીકરણ સાથે રાજ્યના વેપાર, ઉદ્યોગ અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે.

Share This Article