ગાંધીનગર: ગુજરાત અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે, જ્યારે સુરત જિલ્લો રાજ્યમાં ચક્ષુદાન ક્ષેત્રે અગ્રેસર કામગીરી કરી રહ્યો છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રાપ્ત થતા કુલ ચક્ષુદાનમાંથી આશરે 23 ટકા ચક્ષુદાન એકલા સુરત જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.
સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં વિવિધ આરોગ્ય સંસ્થાઓને કુલ 2,645 ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. સરકારી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024-25માં 152 અને વર્ષ 2025-26માં 118 ચક્ષુદાન મળ્યા હતા. સ્મિમેર હોસ્પિટલમાં અનુક્રમે 47 અને 32, દિવ્ય ચક્ષુ આઈ બેન્કમાં 493 અને 498 તથા લોકદ્રષ્ટિ ટ્રસ્ટમાં 776 અને 529 ચક્ષુદાન પ્રાપ્ત થયા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની સિવિલ હોસ્પિટલ અમદાવાદ, કિડની હોસ્પિટલ અમદાવાદ અને સિવિલ હોસ્પિટલ સુરતને અંગદાન-અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ નવી દિલ્હીમાં સન્માનિત કરવામાં આવી છે.
આધુનિક ટેકનોલોજીથી એક દાનથી 3-4 દર્દીઓને દ્રષ્ટિનો લાભ
ચક્ષુદાન અંગે માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે અગાઉ એક કીકી માત્ર એક દર્દીના ટ્રાન્સપ્લાન્ટ માટે ઉપયોગમાં લેવાતી હતી. આધુનિક ટેકનોલોજી અને સંશોધનના કારણે કોર્નિયાના અલગ-અલગ સ્તરોને જરૂરિયાત મુજબ અલગ કરીને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. પરિણામે એક કીકીના દાનથી 3થી 4 વ્યક્તિઓની દ્રષ્ટિહીનતા દૂર કરી શકાય છે. ચક્ષુદાન માટે મૃત્યુ બાદ 6 કલાક સુધી આંખો દાનમાં લઈ શકાય છે. રાજ્ય સરકાર દ્વારા નવી આઈ બેન્ક શરૂ કરવા માટે રૂ. 40 લાખ સુધીની ગ્રાન્ટ તથા દરેક ચક્ષુદાન સ્વીકારવા માટે રૂ. 2,000ની ગ્રાન્ટ આપવામાં આવે છે. આઈ ડોનેશન સેન્ટર શરૂ કરવા માટે પણ રૂ. 1 લાખની ગ્રાન્ટની જોગવાઈ છે.
કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટમાં પણ મહત્વપૂર્ણ કામગીરી
રાજ્યની છ સરકારી હોસ્પિટલોમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. પ્રાપ્ત થતા 100માંથી આશરે 20થી 30 કોર્નિયા જ ટ્રાન્સપ્લાન્ટ માટે ઉપયોગી બને છે. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની સફળતા ટૂંકા ગાળામાં 100 ટકા, મધ્યમ ગાળામાં 80 ટકા અને લાંબા ગાળે 60થી 70 ટકા સુધી રહે છે. ભારતમાં અંદાજે 1થી 1.5 લાખ દર્દીઓને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે, જ્યારે દર વર્ષે માત્ર 55થી 60 હજાર જેટલા કોર્નિયા ઉપલબ્ધ થાય છે. તેથી ચક્ષુદાન અંગે વધુ જનજાગૃતિ જરૂરી છે.
અંગદાન પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક
અંગદાન અને અંગ પ્રત્યારોપણની પ્રક્રિયા NOTTO અને SOTTO દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું કે અંગ ફાળવણીમાં કોઈ વ્યક્તિગત ભલામણ કે લાગવગને સ્થાન નથી. નોંધણી, સમય અને નિર્ધારિત નિયમો મુજબ સોફ્ટવેર આધારિત પારદર્શક પ્રક્રિયા દ્વારા અંગ ફાળવવામાં આવે છે.
ગુજરાતમાં દર વર્ષે માત્ર 150થી 200 જેટલી કિડની ઉપલબ્ધ થાય છે, જ્યારે જરૂરિયાત 2,000થી વધુ છે. આ તફાવતને ધ્યાનમાં રાખીને અંગદાન અંગે વધુ જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. આ સાથે જન્મજાત અંધત્વ ધરાવતા બાળકોમાં કોર્નિયા સંબંધિત સમસ્યાઓનું નિદાન અને સારવાર શક્ય છે. રાજ્યની શાળાઓ તથા સિવિલ હોસ્પિટલોના આંખ વિભાગોમાં નિયમિત તપાસ કરવામાં આવે છે. મૂક-બધિર બાળકો માટે પણ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોકલિયર ઇમ્પ્લાન્ટ બાદ સોફ્ટવેર અપગ્રેડ માટે બાળક દીઠ રૂ. 3 લાખના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત સિવિલ હોસ્પિટલ મારફતે 612 જેટલા બાળકોને લાભ મળ્યો છે, જેના પરિણામે તેઓ સ્પીચ થેરાપી દ્વારા સાંભળવા અને બોલવાની ક્ષમતા વિકસાવી રહ્યા છે. આરોગ્ય મંત્રીશ્રીએ ચક્ષુદાન અને અંગદાન ક્ષેત્રે કામગીરી કરી રહેલી તમામ એનજીઓ, આઈ બેન્કો અને તબીબોને અભિનંદન પાઠવતાં વધુને વધુ લોકોને અંગદાન અને ચક્ષુદાન માટે આગળ આવવા અપીલ કરી હતી.

