અમદાવાદમાં વધી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે સમાજસેવાની ભાવનાથી કાર્યરત હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન દ્વારા નવરંગપુરા ગામ ખાતે જોગણી માતાજીના મંદિર પાસે ત્રણ દિવસીય છાશ વિતરણ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેવા અંતર્ગત રિક્ષાચાલકો, ટેમ્પોચાલકો, પેડલ રિક્ષાચાલકો તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોને ઠંડક અને રાહત મળે તે માટે અંદાજે 500 લીટર છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.
ફાઉન્ડેશનના સભ્યોએ જણાવ્યું હતું કે ઉનાળાની તીવ્ર ગરમીમાં દિવસભર મહેનત કરતા શ્રમિક વર્ગ અને રસ્તા પર કામ કરતા લોકોને તાજગી અને આરોગ્યપ્રદ રાહત મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. સેવા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ છાશનો લાભ લીધો હતો.
સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોએ હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશનની આ માનવતાભરી પહેલને વખાણી હતી અને સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય ગણાવ્યું હતું. ફાઉન્ડેશન દ્વારા જણાવાયું હતું કે આગામી સમયમાં પણ આવી સમાજલક્ષી અને જનકલ્યાણકારી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે.
