ગોતામાં રામી પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું

Rudra
2 Min Read

અમદાવાદ : ગોતા સ્થિત સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી ખાતે રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી પરિવારના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ‘શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ’નું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૧ મે થી ૨૭ મે, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહેલા આ દિવ્ય મહોત્સવમાં ભક્તજનોમાં વિશેષ ઉત્સાહ અને આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે.

આ પવિત્ર કથાનું આયોજન ડિટેક્ટિવ અભિષેકભાઈ રામી, એડવોકેટ અંજનાબેન રામી અને કુમારી પૃથ્વીબેન રામી દ્વારા અધિક માસ નિમિત્તે કરવામાં આવ્યું છે. મહોત્સવ દરમિયાન સ્વ. વસંતકુમાર રામી તથા સ્વ. શ્રીમતી મયુરાબેન રામીના પરમ કલ્યાણાર્થે વિશેષ પિતૃ તર્પણ વિધિઓ અને પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સપ્તાહમાં અમદાવાદ (મંડળવાળા)ના પ્રખ્યાત કથાકાર શાસ્ત્રી ડૉ. ધવલભાઈ જોશી વ્યાસપીઠ પરથી પોતાના આગવા અને ભાવસભર વક્તવ્ય દ્વારા ભક્તોને શ્રીમદ ભાગવતના પવિત્ર પ્રસંગોનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો સમય દરરોજ રાત્રે ૮:૦૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

આ પ્રસંગે આયોજક અભિષેકભાઈ રામીએ જણાવ્યું હતું કે, “આ મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમગ્ર સમાજને એકતા, ભક્તિ અને સંસ્કાર સાથે જોડતો આધ્યાત્મિક ઉત્સવ છે. તમામ ભક્તજનોને આ દિવ્ય યજ્ઞમાં જોડાઈને પ્રભુના આશીર્વાદ મેળવવા હાર્દિક આમંત્રણ છે.”

એડવોકેટ અંજનાબેન રામીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન પોથી યાત્રા, કપિલ જન્મોત્સવ, નરસિંહ અવતાર, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન અન્નકૂટ પૂજા, રુક્મિણી વિવાહ અને સુદામા ચરિત્ર જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ઉપરાંત, તા. ૨૮ મેના રોજ સવારે વિશેષ પૂજા તથા સાંજે મહાપ્રસાદ સાથે ભવ્ય નારાયણ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

મહોત્સવની આધ્યાત્મિક ભવ્યતા વધારવા દેશના અગ્રણી સંતો, મહંતો અને મહામંડલેશ્વરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં ૧૦૦૮ મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર, અમદાવાદ), જાનકીદાસજી બાપુ, કાળીદાસ બાપુ, રામેશ્વરદાસજી બાપુ, બાલકનાથ બાપુ, આચાર્ય રણછોડ દાદા તથા પૂજ્ય દાનભાબાપુ સહિતના સંતો ભક્તોને આશીર્વચન પાઠવશે.

રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી પરિવાર દ્વારા તમામ મીડિયા પ્રતિનિધિઓ, ભક્તજનો અને ધર્મપ્રેમી જનતાને આ દિવ્ય મહોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share This Article