SIDBI ઘ્વારા મહિલા ઉદ્યમીઓ અને હસ્તકલા કારીગરો માટે સ્વાવલંબન મેળા આયોજન કરવામાં આવ્યું

SIDBI એ 1-5 ડિસેમ્બર, 2023 દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે સ્વાવલંબન મેળાનું આયોજન કર્યું હતું. મેળામાં, મોટી સંખ્યામાં મહિલા ઉદ્યમીઓ સહિત 146 કારીગરો/સૂક્ષ્મ સાહસિકોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કર્યું હતું. હસ્તકલાના સંદર્ભમાં સહભાગીઓમાં ઘણી વિવિધતા હતી અને કારીગરોને SIDBI દ્વારા વિનામૂલ્યે સ્ટોલ અને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેઓને સત્રો, સેમિનાર અને વન-ટુ-વન ક્રિયાપ્રતિક્રિયા દ્વારા નાણાકીય સાક્ષરતા, સરકારી યોજનાઓ, બેંક લોન યોજનાઓ, ડિઝાઇન અને ઇ-કોમર્સ પર ઇનપુટ આપવામાં આવ્યા હતા.

5મી ડિસેમ્બર 2023ના રોજ સમાપન સમારોહ યોજાયો હતો જેમાં પાંચ પસંદગીના કારીગરોને SIDBI ના DMD શ્રી સુદત્ત મંડલ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સમાપન સમારોહ પહેલા શ્રી સુદત્ત મંડલ એ અમદાવાદ હાટ ખાતે સુચારું રૂપમાં આયોજિત ૪ દિવસીય સ્વાવલંબન મેળાને સમર્થન આપવા બદલ મીડિયા મિત્રોનો આભાર માન્યો હતો. એમને જણાવ્યું કે આ મેળાનું મુખ્ય હેતુ આ કારીગરો અને સૂક્ષ્મ સાહસિકોને તેમના વ્યવસાયને આગલા સ્તર પર લઈ જવા માટે પ્રોત્સાહન આપવાનો હતો.

Share This Article