મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાના અધ્યક્ષ પદે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે.
આ સંદર્ભમાં GARC દ્વારા અત્યારસુધીમાં રાજ્ય સરકારને ત્રણ ભલામણ અહેવાલો સોંપવામાં આવેલા છે અને તેની કુલ મળીને ૨૫ ભલામણો અમલીકરણના વિવિધ તબક્કામાં છે.
GARC અધ્યક્ષ ડૉ. હસમુખ અઢીયાના દિશાદર્શનમાં ૯ જેટલી ભલામણો સાથે તૈયાર કરવામાં આવેલો ચોથો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુરુવારે સુપ્રત કરવામાં આવ્યો હતો.
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૪માં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસે “અમારી સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવા અને લોકોના સપનાઓને સાકાર કરવા સતત કાર્યરત રહેશે.” ના કરેલા સંકલ્પને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગામથી રાજ્ય સુધીના લોકશાહી આધારિત વિકાસ મોડલથી સાકાર કરવાના ઉદ્દેશ્યથી GARCના આ ચોથા ભલામણ અહેવાલમાં વિકેન્દ્રીકૃત આયોજન સંબંધિત ભલામણો કરવામાં આવેલી છે.
આ ચોથા અહેવાલમાં વિકેન્દ્રીત આયોજન અને બજેટ વ્યવસ્થા અંગે જે ઐતિહાસિક ભલામણો કરવામાં આવી છે તેના પરિણામે લોકકેન્દ્રિત વિકાસ, પારદર્શિતા અને જવાબદારીના નવા યુગની શરૂઆત થશે અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્યમાં ગામથી તાલુકા અને જિલ્લાની યોજના પ્રક્રિયા વધુ લોકતાંત્રિક, પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનશે તેવી અપેક્ષા આ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને GARCનો આ ચોથો અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ સુપ્રત કર્યો તે અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌર, વહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ હારિત શુક્લા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને આયોજન પ્રભાગના સચિવ આદ્રા અગ્રવાલ અને GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
GARCના આ ચોથા અહેવાલમાં ગુજરાતના આયોજન માળખામાં મૂળભૂત પરિવર્તન લાવતી ભલામણો કરવામાં આવી છે તે રાજ્યના નાગરિકોને સીધો લાભ પહોંચાડનારી છે. આ ભલામણો દ્વારા રાજ્યમાં વિકેન્દ્રિકૃત આયોજનને મજબૂત બનાવવાનું અને ગામડાંઓને વિકાસ પ્રક્રિયાના કેન્દ્રમાં લાવવાનું મહત્વપૂર્ણ કદમ ભરવામા આવ્યુ છે.
આ અહેવાલની મુખ્ય ભલામણોમાં જિલ્લા આયોજનના બજેટમાં આવતા પાંચ વર્ષમાં સાતથી આઠ ગણા જેટલો ધરખમ વધારો, જિલ્લા આયોજન મંડળમાંથી જિલ્લા આયોજન સમિતિ – ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહુમતી, આયોજન માટે ફિક્સ કૅલેન્ડર, તાલુકા સ્તરે એકીકૃત સમિતિ અને વિલેજ ડેવલપમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે.
જિલ્લા આયોજનના બજેટમાં આવતા પાંચ વર્ષમાં અંદાજે સાતથી આઠ ગણો ધરખમ વધારો:
સ્થાનિક સ્તરના પાયાના કડીરૂપ કામો માટેનુ જિલ્લા આયોજન માટેનું જે બજેટ વર્ષોથી સ્થિર રહ્યું છે, તેમાં હવે પંચ દ્વારા આવતા પાંચ વર્ષોમાં વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ કરોડ જેટલી માતબર રકમનો વધારો કરવાની ભલામણ કરવામાં આવેલી છે. બજેટનો વધારો થતા વધુ રસ્તા, વધુ શાળાઓ, વધુ આરોગ્ય સુવિધાઓ અને વધુ રોજગારની તકો ઉભી થશે અને ગ્રામીણ સ્તરના પાયાના લોકોની શાસનમા ભાગીદારી વધશે.