સુરત : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતે એક પ્રવચનમાં શ્રી જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ લોકો તરફથી મોટા પ્રમાણમાં રોષની લાગણીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને રઘુવંશી સમાજ દ્વારા આ સાધુના વાણીવિલાસ પર આકરા શાબ્દિક પ્રહારો થયા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રકાશ સ્વામીએ અમરોલીમાં આપેલા એક પ્રવચનમાં શ્રી જલારામ બાપા અને ગુણાતીત સ્વામી વચ્ચેના સંબંધો વિશે કેટલાક વિવાદાસ્પદ દાવા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વીરપુરનું અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે અને શ્રી જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે ગાઢ રીતે જોડાયેલો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીની લાંબા સમય સુધી સેવા કરી હતી, અને તેમને દાળ-બાટીનો પ્રસાદ પણ ખવડાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીના આશીર્વાદ લીધા હતા. આ નિવેદનોએ જલારામ બાપાના ભક્તો અને રઘુવંશી સમાજમાં ભારે રોષ જગાવ્યો હતો.
રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીની જાહેરમાં માફીની માંગ કરી હતી. વિવાદ વધતાં, જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે માફી માંગી હતી, અને તેમનો માફી માંગતો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, ‘સંત શિરોમણિ જલારામ બાપાને શત શત વંદન. એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો તે જ કહી સંભળાવ્યો હતો. પરંતુ, આનાથી કોઈનું દિલ કે લાગણી દુભાણી હોય તો હું સાચા દિલથી માફી માગું છું.’
આ ઘટનાએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી અને સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.