રાજકોટમાં પાખંડી ભૂવાની કામલીલાનો પર્દાફાશ, વિધિના બહાને મહિલાને બનાવી હવસનો શિકાર

Rudra
2 Min Read

રાજકોટ નજીક આવેલા ખોખડદળ ગામ પાસે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની આડમાં એક પાખંડી ભૂવાની શરમજનક હરકતોનો કિસ્સો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. એક 40 વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે, કથિત ભૂવાએ ધંધો સારો થઈ જશે અને આર્થિક સ્થિતિ સુધરી જશે તેવી લાલચ આપી વિધિના બહાને તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

ફરિયાદ અનુસાર, પીડિત મહિલાના પતિ ગોંડલ ચોકડી પાસે સબમર્સિબલનું કારખાનું ચલાવે છે. આ કારખાનામાં તુષાર સિંધવ નામનો શખ્સ કામ કરતો હતો. આરોપી ધીમે ધીમે પરિવારની નજીક આવ્યો હતો અને પોતે મેલડી માનો ભૂવો હોવાનો દાવો કરી મહિલાને વિશ્વાસમાં લીધી હતી.

મહિલાના જણાવ્યા પ્રમાણે, આરોપીએ કહ્યું હતું કે તેમના ઘરમાં “મેલું” છે અને ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે. ત્યારબાદ તે મહિલાના ઘરે પૂજા-પાઠ અને વિધિના બહાને આવતો જતો રહ્યો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, દોઢ વર્ષ પહેલાં મધરાતે વિધિ કરવાના બહાને આરોપી ઘરે આવ્યો હતો. તેણે મહિલાના પતિ અને પુત્રને રૂમની બહાર મોકલી દીધા હતા અને ત્યારબાદ રૂમનો દરવાજો બંધ કરી મહિલાને બેભાન બનાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

આટલું જ નહીં, થોડા દિવસો બાદ ફરી આરોપી ઘરે પહોંચ્યો હતો અને મહિલાના દીકરાના ગળા પર ચાકુ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન મહિલાને અર્ધબેભાન હાલતમાં ફરી શિકાર બનાવવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.

પીડિતાના કહેવા મુજબ, આરોપી સતત પરિવાર પર દબાણ કરતો હતો અને પૈસાની માંગણી પણ કરતો હતો. પરિવાર સ્થળ બદલીને અન્યત્ર રહેવા ગયો હોવા છતાં આરોપી ત્યાં પણ પહોંચી ગયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીની ભૂમિકા, આર્થિક લેવડદેવડ અને અન્ય સંભવિત પીડિતાઓ અંગે પણ તપાસ ચલાવી રહી છે.

Share This Article