વડોદરાવાસીઓ સાચવજો! પૂર અને ભારે વરસાદ બાદ ડેન્ગ્યુનો પ્રકોપ

Rudra
By Rudra 2 Min Read

વડોદરા : વડોદરા શહેરમાં થોડા દિવસો પહેલા વરસેલા ભારે વરસાદ અને પૂર બાદ રોગચાળો વધી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 15 દિવસમાં કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યુના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ દિવસો દરમિયાન ડેન્ગ્યુના 74 કેસ વધી ગયા છે. ગઈ તારીખ 2ના રોજ ડેન્ગ્યુ પોઝિટિવ ૨૧૫ કેસ હતા, જે હવે વધીને 289 થઈ ગયા છે.

વડોદરામાં ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યુના મચ્છરોના પોરા ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. સતત વરસાદ ચાલુ હોવાથી જ્યાં ચોખ્ખું પાણી ભરેલું રહે છે અને બંધીયાર હાલતમાં હોય છે, ત્યાં આ મચ્છરોના પોરા વધુ પેદા થાય છે. અગાસીમાં, પાણીના કુંડામા, અગાસી પર રાખેલા ભંગારમાં, ફૂલ છોડના કુંડામાં, જ્યાં ચોખ્ખું પાણી લાંબા સમય સુધી ભરેલું હોય છે ત્યાં ડેન્ગ્યુના પોરા ઝડપથી પેદા થાય છે. જોકે કોર્પોરેશન દ્વારા પૂર અને ભારે વરસાદ બાદ ફોગિંગ તેમજ પોરા નાશક કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પણ જઈને કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરી રહી છે. ચોમાસામાં પાણીજન્ય રોગ અને ઝાડા-ઉલટીના તેમજ તાવના કેસોમાં પણ વધારો થયો છે. કોર્પોરેશન દ્વારા તાવ અંગેનો સર્વે ચાલુ કર્યો છે. ગઈકાલે તાવના 168 કેસ મળ્યા હતા. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે પણ ઓપીડીમાં ભારે ઘસારો જાેવા મળી રહ્યો છે. જો કે ડેન્ગ્યુના વધતા કેસોને ધ્યાનમાં રાખીને 28 બેડનો એક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જરૂર લાગશે તો બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.

Share This Article