નવનિર્મિત અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :શહેરમાં નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીમાં એક પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા આખા શહેરમાં તથા પોલીસ વિભાગમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસ કર્મચારીએ રાયફલથી પોતાને જ ગોળી મારીને આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ ઇન્સાસ રાયફલથી આપઘાત કર્યો હોવાનું ખુલ્યુ છે. જીતેન્દ્ર વાજા નામના પોલીસ કોન્સ્ટેબલે બે દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીમા ફરજ પર મુકાયા હતા. બે દિવસ પહેલા જ રાયફલ અને ૨૦ જેટલા કારતૂસ આપ્યા હતા. નવી પોલીસ કમિશનર કચેરી પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે આવેલી છે. જેમાં મોડી રાત્રે કરેલા આપઘાતની વહેલી સવારે જાણ થઈ છે. પોલીસ કર્મચારીના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ હેડ ક્વાર્ટસમાં વહેલી સવારે ૧૫ ઓગસ્ટને લઈને ધ્વજવંદનનો કાર્યક્રમ હતો. પોલીસ કમિશનર ધ્વજ વંદન કાર્યક્રમ બાદ મૃતકના પરિવારને મળ્યા હતા.

Share This Article