ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ૨ મહાનગર પાલિકાની ૩ અને ૧૮ નગરપાલિકાની ૨૯ બેઠકો પર પેટાચૂંટણી

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વધુ એક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી જગ્યાઓ માટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ૨ મહાનગર પાલિકાની ત્રણ બેઠકો અને ૧૮ નગરપાલિકાઓની ૨૯ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેની આદર્શ આચારસંહિતાનો અમલ આજથી થઈ ગયો છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ૧૦ જુલાઈએ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. તો જાહેરનામુ પ્રસિદ્ધ થવાની તારીખ ૧૭ જુલાઈ છે. જ્યારે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૨૨ જુલાઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૫ જુલાઈ છે. રાજ્યમાં ૬ ઓગસ્ટે આ ખાલી પડેલી બેઠકો પર મતદાન યોજાશે. ત્યારબાદ ૮ ઓગસ્ટે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૨૦ની એક બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જ્યારે રાજકોટ મહાનગર પાલિકાના બોર્ડ નંબર-૧૫ની બે સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ સિવાય મહુવા, પાલીતાણા, જંબુસર, આમોદ, રાજપીપળા, ડીસા, પાલનપુર, ધ્રાંગધ્રા, બારેજા, મોડાસા, આણંદ, પોરબંદર-છાયા, સિદ્ધપુર, ઊઝા, મુંદ્રા-બારોઈ, તાલાલા અને ગોધરા નગરપાલિકાની ખાલી પટેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.

Share This Article