એટ્રોસિટી એક્ટ મામલે 14મી એપ્રિલે રાજકીય ઘર્ષણ થવાની દહેશત

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

એક તરફ એટ્રોસિટી એક્ટમાં સુધારા કરવા મોદી સરકાર વટહુકમ નહી લાવે તો, 14મી એપ્રિલે ભાજપના એકપણ નેતાને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવા દેવામાં આવશે નહીં તેવી ધારા સભ્ય જીજ્ઞોશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ ભાજપના સાંસદ-ધારાસભ્યોએ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતા કોઇ અટકાવી શકશે નહીં તેવો દાવો કર્યો છે.

આ કારણોસર ૧૪મીએ રાજકીય ઘર્ષણ થવાના એંધાણ વર્તાઇ રહયાં છે. ૨જીએ એપ્રિલે ગુજરાતમાં એટ્રોસિટી એક્ટના મામલે દલિતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં ગુજરાત પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી પરિણામે સરકાર પર માછલાં ધોવાયા હતાં.

૧૪મી એપ્રિલે પણ આ ઘટનાનુ પુનરાવર્તન થાય તેવી દહેશત છે. ગાંધીનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠકોનો દોર શરુ થયો છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પરિપત્ર જારી રહીને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીને ૧૪મી એપ્રિલે હેડકવાર્ટસ ન છોડવા ફરમાન કર્યુ છે. આ ઉપરાંત રજાઓ પણ રદ કરવા જણાવી દેવાયુ છે.

રાજકીય ઘર્ષણ ટાળવા પોલીસ દલિત આગેવાનોના પણ સંપર્કમાં છે. ૨જી એપ્રિલની જેમ ૧૪મીએ પણ દલિતો રસ્તા પર ન ઉતરી પડે તે માટે પોલીસ અત્યારથી જ મથામણ કરી રહી છે. આ દિવસે દલિતો અને ભાજપના કાર્યકરો ભીડી જાય તેવી શંકા પ્રવર્તી રહી છે.

Share This Article