નવરાત્રિ વેકેશનઃ ખાનગી સ્કુલોએ નિર્ણય પર ફેર વિચારણા કરવાની માંગ કરી

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં મોટાભાગની ખાનગી સ્કુલો નવરાત્રિ વેકેશનને લઇને વાંધો ઉઠાવી રહી છે. આને લઇને હજુ પણ ચર્ચા ચાલી રહી છે. મોટાભાગની ખાનગી સ્કુલોએ ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગણી કરી છે.

આટલી રજા પડશે તો પાઠ્યક્રમ અથવા તો અભ્યાસક્રમને કઇ રીતે પૂર્ણ કારશે તેને લઇને પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આ વિરોધ પ્રદર્શન જારી રહે તેવી શક્યતા છે. સ્વરનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પત્ર લખીને વિરોધ નોંધાવી દેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ફેરવિચારણા કરવા માટે કહેવામાં આવ્યું છે.

રાજ્યમાં શૈક્ષણિક સત્રની વાત કરવામાં આવે તો પ્રથમ શૈક્ષણિક સત્ર ૧૧મી જૂનથી ચોથી નવેમ્બર દરમિયાનનું હોય છે અને એમાં કાર્ય દિવસ ૧૧૬ દિવસના હોય છે. જ્યારે દિવાળી વેકેશન પાંચમી નવેમ્બરથી ૨૫મી નવેમ્બર છે. આમા રજાના દિવસો ૨૧ દિવસ હોય છે. જ્યારે બીજા સત્રની શરૂઆત ૨૬મી નવેમ્બર ૫મી મે દરમિયાન રહે છે. આમા ૧૨૧ દિવસ કાર્ય દિવસ હોય છે. કુલ શૈક્ષણિક સત્રના કાર્યના દિવસો ૨૪૭ હોય છે. છઠ્ઠી મેથી ૫મી જૂન દરમિાયન વેકેશનનો ગાળો રહેશે.

સરકારે નવરાત્રિ અને દિવાળીના વેકેશનને લઇને જે નિર્ણય કર્યો છે તેને લઇને ભારે નારાજગી અકબંધ દેખાઈ રહી છે. ઘણા વાલીઓ પણ આને લઇને વાંધો ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ નવરાત્રિ વેકેશનને લઇને મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓ ખુશ પણ દેખાઈ રહ્યા છે. સોશિયલ મિડિયા પર જુદા જુદા પ્રકારના મેસેજો આવી રહ્યા છે. દિવાળી, નવરાત્રિની રજાઓ, રવિવારની રજાઓ અને અન્ય રજાઓની સાથે અભ્યાસની સરખામણી થઇ રહી છે.

વાલીઓનું કહેવું છે કે, નવરાત્રિ વેકેશનથી પાઠ્યક્રમ પૂર્ણ કરવામાં કોઇ તકલીફ થશે નહીં. કારણ કે દિવાળી વેકેશનના ગાળામાં ૧૦ દિવસ ઘટાડી દેવામાં આવ્યા છે જ્યારે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે, રજાઓ આપવાની અસર અભ્યાસ પર ચોક્કસપણે થશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *