સાયકલોનિક સીસ્ટમ વિખેરાતાં રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

વરસાદની સ્થિતિ વિષે જાણકારી આપતાં હવામાન વિભાગના અમદાવાદ ખાતેના ડાયરેકટર ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું કે, સોમવારની સાંજે ગુજરાત પર સ્થિત ઓફ શોર ટ્રાફ વિખેરાઇ ગયું છે અને અપર એર સાયકલોનિક સરક્યુલેશન પૂર્વ-મધ્ય ગુજરાતથી મધ્ય ભારત તરફ ફંટાયું છે, પરિણામે વરસાદનું જોર સોમવારની સરખામણીએ ઓછું થયું છે.

જોકે તેમણે આગામી ૨૪ કલાકમાં પૂર્વીય મધ્ય ગુજરાતના વિસ્તારો, છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર તથા સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, ઓખા ઉપરાંત કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ચોમાસાની શરૂઆત હોવાથી લગભગ રાજ્યમાં સર્વત્ર છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા પણ તેમણે જણાવી હતી.

એન.ડી.આર.એફ.ની ૧૩ ટીમોને આગોતરા પગલાં તરીકે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, સુરત, તાપી, સાબરકાંઠા, છોટાઉદેપુર, ખેડા, વડોદરા અને વલસાડમાં તહેનાત કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઇને વરસાદની સ્થિતિ અને વહીવટીતંત્રની રાહત-બચાવ કામગીરી માટેની સજ્જતાની સમીક્ષા કરી હતી.

Share This Article