ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિથી મૃતકોને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ, પીડિત પરિવારોને આર્થિક સહાય

Rudra
2 Min Read

અમદાવાદ: દેશના વિવિધ રાજ્યોમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે જાનહાનિની દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય મોરારિ બાપુએ ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિના કારણે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને આર્થિક સહાય જાહેર કરી છે.

તાજેતરમાં ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે નવસારી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ દુર્ઘટનાઓમાં પાંચ લોકોના કરુણ મોત થયા હતા. આ ઘટનાને લઈ મોરારિ બાપુએ ‘હનુમંત સંવેદના’ અંતર્ગત મૃતકોના પરિવારને પ્રતિ પરિવાર રૂ. 15 હજાર મુજબ કુલ રૂ. 75 હજારની સહાય અર્પણ કરી છે. આ સહાય રામકથાના શ્રોતાઓ દ્વારા સંબંધિત પરિવારો સુધી પહોંચાડવામાં આવી છે.

બીજી તરફ કેરળમાં પણ અતિવૃષ્ટિના કારણે 15 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. આ દુઃખદ ઘટનાને પગલે મોરારિ બાપુએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

આ ઉપરાંત કેરળના પૂરગ્રસ્તોને મદદરૂપ થવા માટે કેરળ રાજ્યના મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. 2.25 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે. આ સહાયની રકમ મુંબઈ સ્થિત રામકથાના એક શ્રોતાના માધ્યમથી પહોંચાડવામાં આવી હોવાનું જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ આસામ, જમ્મુ-કાશ્મીર અને સિક્કિમમાં ભારે વરસાદ અને કુદરતી આફતોના કારણે અસરગ્રસ્ત પરિવારો માટે મોરારિ બાપુ દ્વારા આર્થિક સહાય અને સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.

Share This Article