અમેરિકામાં મોરારીબાપુની 40મી રામકથા, હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરથી ‘માનસ ગુરુ પ્રસાદ’ કથાનો પ્રારંભ

Rudra
2 Min Read

અમદાવાદ: તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં પૂજ્ય મોરારીબાપુની 982મી રામકથાનો અમેરિકાની ધરતી પર પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના દિવસે મંગલ પ્રારંભ થયો હતો. અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટર, મેમોરિયલ હોલ ખાતેથી ‘માનસ ગુરુ પ્રસાદ’ શીર્ષક હેઠળ કથાગાનનો આરંભ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં મોરારીબાપુ અત્યાર સુધીમાં 39 વખત રામકથા કરી ચૂક્યા છે. આ કથા સાથે અમેરિકાની ધરતી પર તલગાજરડી વ્યાસપીઠ 40મી વખત મુખર થઈ રહી છે. આ રામકથાનું આયોજન લોર્ડ ડોલર પોપટ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.

આ વખતની રામકથાની વિશેષતા એ છે કે પૂજ્ય મોરારીબાપુ અમેરિકામાં તુલસી જન્મોત્સવની ઉજવણી કરશે. શ્રાવણ સુદ સાતમના રોજ ઉજવાતા તુલસી જયંતીના ઉપલક્ષ્યમાં બાપુ ભારતના 50 કથાકારોને પણ અમેરિકા લઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે મોરારીબાપુએ વર્ષ 2010થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. કલિ પાવનાવતાર પૂજ્ય તુલસીદાસજી મહારાજની પુણ્ય સ્મૃતિમાં કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તુલસી જન્મ જયંતીના અવસરે ભારતના વિવિધ પ્રાંતના રામકથાના ગાયકો, કથાવાચકો, રામચરિતમાનસના ચિંતનકારો તેમજ રામકથા ક્ષેત્રે યોગદાન આપતી સંસ્થાઓમાંથી પસંદગી કરીને તેમના યોગદાન બદલ **તુલસી એવોર્ડ**થી સન્માનિત કરવાનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2010થી 2024 સુધી દર વર્ષે કૈલાસ ગુરુકુળ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તુલસી એવોર્ડની સાથે વ્યાસ એવોર્ડ અને વાલ્મીકિ એવોર્ડનો પણ આ ઉપક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે તુલસીદાસજીના જન્મસ્થળ રાજાપુર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે આ વર્ષે તુલસી જન્મોત્સવનું આયોજન અમેરિકામાં કરવામાં આવી રહ્યું છે.

મોરારીબાપુ માટે રામચરિતમાનસ સ્વયં સદ્ગુરુ સમાન છે. તેઓ તેને ભગવાન શ્રીરામનું વાંગ્મય સ્વરૂપ માને છે. તુલસીદાસજીના પાવન સ્મરણરૂપે દર વર્ષે રામચરિતમાનસ અને રામાયણ પર વિશેષ ચિંતન-મનન માટે સમર્થ વિદ્વાન કથાકારો અને ચિંતકોને આમંત્રિત કરવામાં આવે છે. આ દરમિયાન વિવિધ વિદ્વાનો રામાયણ અને રામચરિતમાનસ અંગે પોતાના નવા વિચારો રજૂ કરે છે. પૂજ્ય મોરારીબાપુ પણ શ્રોતા તરીકે વિનમ્રતા અને એકાગ્રતાથી રામાયણ વિશેના આ નવા વિચારોનું શ્રવણ કરે છે.

રામકથા ઉપરાંત સાંજની સભામાં વિવિધ વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ શ્રોતાઓને મળશે. 15 ઓગસ્ટ, ભારતના સ્વતંત્રતા દિવસના પાવન પર્વે અમેરિકાની ધરતી પર આ રામકથાનો પ્રારંભ થવો પણ એક સુંદર યોગાનુયોગ માનવામાં આવી રહ્યો છે.

Share This Article