હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભવ્ય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

Rudra
4 Min Read

અમદાવાદ: હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય અને ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી. મહા અભિષેક, ઝુલન ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણ રથ ઉત્સવ સહિતના વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. ઉત્સવમાં લાખો ભક્તો અને મુલાકાતીઓએ ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.

જન્માષ્ટમી નિમિત્તે મંદિર ખાતે સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વિવિધ કલાકારો દ્વારા શ્રીકૃષ્ણ ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રાત્રે 10 વાગ્યાથી શ્રી નંદલાલ છાંગા અને તેમની ટીમ દ્વારા ‘શ્રીકૃષ્ણ સંકીર્તન કોન્સર્ટ’ રજૂ કરવામાં આવ્યો હતો. સંકીર્તન અને ભજનોના સૂરોથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

ઉત્સવ દરમિયાન ભક્તો માટે ફરાળી કૃષ્ણ પ્રસાદમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારની મીઠાઈઓ, દૂધની વાનગીઓ, ફરસાણ સહિત 1008થી વધુ પ્રકારની વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી, જે બાદ ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવી. આ ઉપરાંત 151 કિલોગ્રામ વજનની વિશેષ શુદ્ધ શાકાહારી કેક પણ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.

જન્માષ્ટમીની વિશેષતા તરીકે હરેકૃષ્ણ મંદિરના શ્રી શ્રી રાધા માધવને સુગંધિત અને મનમોહક વસ્ત્રો તેમજ વિશેષ આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. ભક્તો દ્વારા તૈયાર કરાયેલા શુદ્ધ રેશમી વસ્ત્રો અને પથ્થરોથી દેવવિગ્રહને અલંકૃત કરવામાં આવ્યા હતા. વસ્ત્રોને અનુરૂપ કિંમતી અને રત્નજડિત નવા આભૂષણો વૃંદાવનથી તૈયાર કરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર અલંકારની રંગ, ડિઝાઇન અને સામગ્રી અંગે છેલ્લા બે મહિનાથી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિરને દેશના વિવિધ ભાગોમાંથી લાવવામાં આવેલા સુગંધિત અને રંગબેરંગી ફૂલોથી પણ શણગારવામાં આવ્યું હતું.

ભગવાન શ્રીકૃષ્ણ માટે સમગ્ર દિવસ દરમિયાન ઝુલન (હિંડોળા) સેવા અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ભગવાનના પ્રાગટ્ય પ્રસંગની સ્મૃતિમાં વિશેષ મહા અભિષેક યોજાયો હતો. પરંપરા અનુસાર દૂધ, ઘી, મધ સહિતના મંગલકારી પદાર્થોથી બાલકૃષ્ણને સ્નાન કરાવવાની ભાવનાને અનુસરીને શ્રી શ્રી રાધા માધવના દેવવિગ્રહોનો પંચગવ્ય, ઔષધીય વનસ્પતિઓ, ફળોના રસ અને પુષ્પો સહિતના પવિત્ર પદાર્થોથી અભિષેક કરવામાં આવ્યો હતો.

મહા અભિષેકની વિશેષતા એ રહી કે સાત પવિત્ર નદીઓમાંથી એકત્રિત કરવામાં આવેલા જળથી ભરેલા 108 કળશ દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. મધ્યરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય સમયે સંકીર્તન સાથે ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત દીવાઓ સાથે કરવામાં આવેલી મહા આરતીના દિવ્ય દૃશ્યથી ભક્તો ભાવવિભોર બન્યા હતા.

જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે 5 સપ્ટેમ્બરે નંદોત્સવ અને વ્યાસ પૂજા મહોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવ ગુરુના પ્રાગટ્ય દિવસને વ્યાસ પૂજા તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય શ્રીલ પ્રભુપાદનો પ્રાગટ્ય નંદોત્સવના દિવસે, એટલે કે જન્માષ્ટમીના બીજા દિવસે થયો હોવાથી આ દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના સ્વરૂપે 21 લાખ શ્રીકૃષ્ણ નામોના જપનો સંકલ્પ પણ કર્યો હતો. મંદિર ખાતે આવેલા મુલાકાતીઓએ પણ આ જપ-યજ્ઞમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન રાજ્ય અને શહેરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ પણ મંદિરની મુલાકાત લીધી હતી અને વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બની ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સહિત અનેક અગ્રણી મહાનુભાવોએ પોતાના પરિવાર સાથે મંદિરની મુલાકાત લઈ ઉત્સવમાં ભાગ લીધો હતો.

આ રીતે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે યોજાયેલ જન્માષ્ટમી મહોત્સવ ધાર્મિક આસ્થા, ભક્તિ, સંકીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના અનોખા સંગમ સાથે ભવ્ય રીતે સંપન્ન થયો હતો.

Share This Article