સાડી ન અપાવી તો પત્નીએ કુકરના ઢાંકણથી કર્યો હુમલો, ગળું દબાવીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો

Rudra
3 Min Read
Image - AI જનરેટેડ છે.

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર સાડી ખરીદવાના મુદ્દે થયેલા ઝઘડામાં પત્નીએ પોતાના પતિની નિર્દયતાથી હત્યા કરી દીધી. આરોપ છે કે મહિલાએ પહેલા પ્રેશર કુકરના ભારે ઢાંકણથી પતિ પર હુમલો કર્યો અને ત્યારબાદ ગળું દબાવીને તેની હત્યા કરી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના ઠાણે જિલ્લાના બદલાપુર ઈસ્ટ વિસ્તારની છે. મૃતકની ઓળખ 35 વર્ષીય હરેરામ કિશુનજી સિંહ તરીકે થઈ છે, જે મૂળ બિહારના રોહતાસ જિલ્લાના રહેવાસી હતા. તેઓ પત્ની સુનીતા દેવી (30) સાથે બદલાપુર ઈસ્ટમાં ભાડાના મકાનમાં રહેતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, 19 જુલાઈની સાંજે પતિ-પત્ની વચ્ચે સાડી ખરીદવાના મુદ્દે વિવાદ શરૂ થયો હતો. સુનીતા દેવી પતિ પાસે નવી સાડી ખરીદવાની માંગ કરી રહી હતી, પરંતુ હરેરામ સાડી લઈને આવ્યા ન હતા. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતાં ગુસ્સે ભરાયેલી સુનીતાએ રસોડામાં પડેલું પ્રેશર કુકરનું ભારે ઢાંકણ ઉઠાવી પતિ પર હુમલો કર્યો. તેણે હરેરામના માથા અને શરીર પર અનેક વાર પ્રહાર કર્યા અને ત્યારબાદ ગળું દબાવીને તેમની હત્યા કરી દીધી.

હત્યા બાદ સુનીતા દેવીએ સમગ્ર ઘટનાને અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પડોશીઓ અને પોલીસને જણાવ્યું કે પતિની અચાનક તબિયત બગડતાં તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતીના આધારે બદલાપુર ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે શંકાના આધારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે હરેરામનું મૃત્યુ અકસ્માતથી નહીં પરંતુ ગળું દબાવવાથી શ્વાસ રૂંધાઈ જવાના કારણે થયું હતું. ઉપરાંત શરીર પર ગંભીર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. રિપોર્ટ બાદ પોલીસે ફરી તપાસ શરૂ કરી અને મકાનમાલિક, પડોશીઓ તેમજ મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી.

બદલાપુર ઈસ્ટ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નિતિન પાટિલના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન મળેલા પુરાવા અને નિવેદનોથી સ્પષ્ટ થયું કે આ હત્યા છે અને તેમાં પત્ની સુનીતા દેવી મુખ્ય આરોપી છે. પોલીસે મંગળવારે સુનીતા દેવીની ધરપકડ કરી હતી. બુધવારે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાં કોર્ટે આરોપીને 29 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો. હાલ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનો પણ બિહારથી ઠાણે આવી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

Share This Article