નીટ પ્રશ્નપત્ર લીક કૌભાંડ સામે 26 દિવસથી અનિશ્ચિતકાળીન અનશન પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ એક નવો વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે 26 દિવસના અનશન બાદ હવે તેમને શું વધુ સાબિત કરવાનું બાકી છે? અનશન સમાપ્ત કરવા પર આટલા સવાલો શા માટે ઉઠાવવામાં આવી રહ્યા છે? આ વીડિયોના માધ્યમથી તેમણે પોતાના અનશનને લઈને ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો છે.
‘શું હવે મારે ચારિત્ર્ય પ્રમાણપત્ર પણ લેવું પડશે?’
સોનમ વાંગચુકે વીડિયોમાં જણાવ્યું કે, “શારીરિક રીતે અત્યંત નબળી સ્થિતિ હોવા છતાં મેં અંત સુધી સંઘર્ષ કર્યો. 20મા અને 22મા દિવસ સુધી જે તાકાત હતી તે પણ સમાપ્ત થઈ ગઈ હતી. મને ત્યાંથી બળજબરીથી બહાર કાઢવો પડ્યો. તમને એ વાતની ખબર નથી. આજે હું થોડો આશ્ચર્ય, દુઃખ અને ગુસ્સા સાથે આ વીડિયો બનાવી રહ્યો છું. મારું વજન 11 કિલો ઘટી ગયું છે. લદ્દાખની કડકડતી ઠંડીમાંથી દિલ્હીની તપતી ગરમીમાં બેસીને આટલું બધું કર્યા પછી શું હવે મને કોઈ પાસેથી ચારિત્ર્યનું પ્રમાણપત્ર પણ લેવું પડશે કે મારું અનશન કેટલું પવિત્ર હતું?”
AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!
Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD
— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026
‘મેં કોના હાથેથી અનશન તોડ્યું, તે પણ સમજાવવું પડશે?’
તેમણે આગળ કહ્યું, “હું અનશન કોના હાથેથી તોડ્યું, શા માટે તોડ્યું, બીજા કોઈના હાથેથી કેમ નહીં તોડ્યું, શું કોઈ સોદો થયો હતો – શું હવે આ બધાનો પણ મને જવાબ આપવો પડશે? ગઈકાલથી હું માત્ર પ્રવાહી આહાર લઈ રહ્યો છું, જેથી શરીરમાં થોડો જીવ આવ્યો છે. સવારે ઘણા લોકો ફોન કરીને અથવા સોશિયલ મીડિયા પોસ્ટ બતાવીને કહી રહ્યા છે કે મારા પર અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. લોકો પૂછે છે કે મેં કેન્દ્રીય મંત્રીઓના હાથે જ અનશન કેમ તોડ્યું, અન્ય કોઈના હાથે કેમ નહીં?”
ટ્રોલર્સ પર ભડક્યા વાંગચુક
સોનમ વાંગચુકે ટ્રોલર્સને આકરા શબ્દોમાં જવાબ આપતા કહ્યું, “જો મને કોઈ સોદો જ કરવો હોત તો શું હું 26 દિવસ સુધી ભૂખ્યો રહ્યો હોત? જેઓ સોદા કરે છે, તેઓ શું આ રીતે કરે છે? સોદા તો વૈભવી રૂમોમાં બેસીને થાય છે. એવા દેશ પર શરમ આવે છે, જ્યાં આવા નીચ વિચારો જન્મે છે અને લોકો કોઈ પુરાવા વગર આવા આરોપો લગાવે છે.”
ઉલ્લેખનીય છે કે, નીટ પ્રશ્નપત્ર લીક કેસમાં કડક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ સાથે અનિશ્ચિતકાળીન અનશન પર બેઠેલા સોનમ વાંગચુકે સરકાર તરફથી આશ્વાસન મળ્યા બાદ 23 જુલાઈની મોડી રાત્રે પોતાનું અનશન સમાપ્ત કર્યું હતું.

