આંધ્ર પ્રદેશના તિરુમલા સ્થિત વિશ્વવિખ્યાત શ્રી વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી) મંદિરમાં મંગળવારે દાનદાતાઓની એવી ભીડ ઉમટી કે માત્ર 24 કલાકમાં મંદિરને ₹96.98 કરોડનું રેકોર્ડ દાન મળ્યું. પ્રથમ નજરે આ સામાન્ય ધાર્મિક આસ્થાનો વિષય લાગતો હોય, પરંતુ તેની પાછળનું કારણ નવી ડોનર પોલિસી હતું.
તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા 15 જુલાઈની મધરાતથી નવી ડોનર પોલિસી અમલમાં મુકાઈ છે. આ નવી નીતિ હેઠળ દાનદાતાઓને મળતી અનેક આજીવન સુવિધાઓમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પરિણામે હજારો ભક્તોએ નવી પોલિસી લાગુ થાય તે પહેલાં જ દાન કરીને જૂના નિયમો હેઠળ મળતા આજીવન લાભ સુરક્ષિત કરી લીધા.
અહેવાલ મુજબ, મંગળવારે કુલ 2,460 દાનદાતાઓએ મંદિરને દાન આપ્યું. 1,212 ભક્તોએ ₹1 લાખથી ₹10 લાખ વચ્ચેનું દાન આપ્યું. 1,246 ભક્તોએ ₹10 લાખથી ₹25 લાખ સુધીનું દાન કર્યું. જ્યારે બે શ્રદ્ધાળુઓએ ₹1 કરોડથી વધુનું દાન આપ્યું. આટલી મોટી સંખ્યામાં એક જ દિવસે દાન મળતાં મંદિર પ્રશાસને રેકોર્ડ આવક નોંધાવી.
2025-26માં ₹1,738 કરોડથી વધુનું દાન
તિરુપતિ બાલાજી મંદિર વિશ્વના સૌથી સમૃદ્ધ ધાર્મિક સંસ્થાનોમાંનું એક માનવામાં આવે છે. મંદિરની અંદાજિત કુલ સંપત્તિ લગભગ ₹3.38 લાખ કરોડ હોવાનું કહેવાય છે, જે ઘણા નાના દેશોની જીડીપી કરતાં પણ વધુ છે. વિત્ત વર્ષ 2025-26 દરમિયાન માત્ર મંદિરની હૂંડીમાં જ ₹1,738 કરોડથી વધુનું દાન જમા થયું છે. એટલે કે મંદિરને દરરોજ સરેરાશ ₹4.75 કરોડ જેટલું દાન મળે છે. TTDના આંકડા મુજબ અત્યાર સુધીમાં 1,97,888 નોંધાયેલા દાનદાતાઓ છે. તેમાં લગભગ 1.5 લાખ લોકોએ ₹1 લાખ અથવા તેથી વધુનું દાન આપ્યું છે, જ્યારે લગભગ 22,000 લોકોએ ₹10 લાખથી વધુનું યોગદાન આપ્યું છે.
TTD બોર્ડના અધ્યક્ષ બી.આર. નાયડૂએ જણાવ્યું કે છેલ્લા માત્ર ચાર મહિનામાં જ ₹10 લાખ અથવા તેથી વધુ દાન આપનારા લગભગ 3,000 નવા દાનદાતાઓ જોડાયા છે. તેમણે કહ્યું કે દાનદાતાઓની ઝડપથી વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દાન વ્યવસ્થામાં પારદર્શિતા અને એકરૂપતા લાવવા નવી ડોનર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. તેનો હેતુ દાનદાતાઓ અને સામાન્ય ભક્તોના હિતો વચ્ચે સંતુલન જાળવવાનો છે.
નવી પોલિસી હેઠળ સૌથી મોટો ફેરફાર એ છે કે હવે દાનદાતાઓને મળતી વિશેષ સુવિધાઓ આજીવન નહીં રહે. અગાઉ નિશ્ચિત રકમનું દાન આપનારા ભક્તોને જીવનભર નીચે મુજબની સુવિધાઓ મળતી હતી.
* વિશેષ પ્રવેશ દર્શન
* સુપથમ એન્ટ્રી
* બ્રેક દર્શન
* સુપ્રભાત સેવામાં ભાગ લેવાની તક
* ભગવાન વેંકટેશ્વરના દૈનિક કલ્યાણોત્સવમાં ભાગ લેવાની તક
* આવાસની સુવિધા
* લાડુ, રેશમી વસ્ત્રો તથા સોના-ચાંદીના સિક્કા જેવા સ્મૃતિચિહ્નો
હવે નવી વ્યવસ્થા મુજબ વ્યક્તિગત દાનદાતાઓને મળતા વિશેષાધિકારો માત્ર 20 વર્ષ માટે જ માન્ય રહેશે, જ્યારે સંસ્થાઓ અને ટ્રસ્ટ માટે આ સમયમર્યાદા 15 વર્ષની રહેશે. TTDએ જૂની દાન શ્રેણી (સ્લેબ) પદ્ધતિ પણ રદ કરી છે. હવે દાનદાતાઓને તેમના યોગદાનના આધારે ચાર અલગ-અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવશે.
નવી પોલિસી મુજબ હવે દર્શન અને વિવિધ સેવાઓનું ફાળવણી સંપૂર્ણપણે ઓનલાઈન ડોનર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. અગાઉ કેટલીક સેવાઓ મેન્યુઅલ પ્રક્રિયા અથવા ખાસ ભલામણના આધારે આપવામાં આવતી હતી. હવે સમગ્ર પ્રક્રિયા ડિજિટલ બનતા પારદર્શિતા વધશે તેવી અપેક્ષા છે.
અગાઉ ₹50 લાખ અથવા તેથી વધુ દાન આપનારા ભક્તોને દર વર્ષે એકથી ત્રણ વખત સુપ્રભાત સેવામાં ભાગ લેવાની તક મળતી હતી. હવે આ સુવિધા માત્ર એક જ વખત મળશે. એટલે કે દર વર્ષે વારંવાર મળતો આ લાભ હવે સમાપ્ત કરવામાં આવ્યો છે.
દાનદાતાઓને આપવામાં આવતા સ્મૃતિચિહ્નોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.અગાઉ ₹1 કરોડનું દાન આપનારા ભક્તોને 5 ગ્રામનો સોનાનો સિક્કો અને 50 ગ્રામનો ચાંદીનો સિક્કો આપવામાં આવતો હતો. હવે ₹50 લાખથી ₹1.5 કરોડ સુધીનું દાન આપનારા નવા દાનદાતાઓને 2 ગ્રામનો સોનાનો સિક્કો, 10 ગ્રામનો ચાંદીનો સિક્કો આપવામાં આવશે.
જૂના દાનદાતાઓને મળશે આજીવન લાભ
મહત્વની વાત એ છે કે નવી ડોનર પોલિસી પૂર્વ અસરથી (Retrospective) લાગુ કરવામાં આવી નથી. એટલે કે 15 જુલાઈની મધરાત પહેલાં દાન આપનારા તમામ જૂના દાનદાતાઓને અગાઉ મળતી આજીવન સુવિધાઓ યથાવત મળશે. આ જ કારણસર નવી પોલિસી અમલમાં આવે તે પહેલાં હજારો ભક્તોએ દાન કરીને જૂના નિયમો હેઠળના લાભ સુરક્ષિત કરી લીધા અને તેના પરિણામે તિરુપતિ બાલાજી મંદિરે માત્ર એક જ દિવસમાં લગભગ ₹97 કરોડનું ઐતિહાસિક રેકોર્ડ દાન પ્રાપ્ત કર્યું.

