પતિની હત્યા જેલ પહોંચેલી સીમાને ઓપન જેલમાં અન્ય કેદી સાથે થયો પ્રેમ, હવે જેલમાં જ બંને લેશે સાત ફેરા

Rudra
4 Min Read

રાજસ્થાન હાઈકોર્ટે જોધપુરના મંડોર ઓપન જેલમાં સજા ભોગવી રહેલા એક કેદીને બીજી મહિલા આજીવન કેદી સાથે લગ્ન કરવાની મંજૂરી આપી છે. કોર્ટના આદેશ બાદ હવે બંનેના લગ્ન ઓપન જેલમાં જ યોજાશે. જેલ પરિસરમાં જ મંડપ સજાવવામાં આવશે અને ત્યાં જ બંને સાત ફેરા ફરશે. કોર્ટે લગ્ન સમારોહમાં પંડિત સહિત બંને પક્ષના વધુમાં વધુ 21 લોકોને હાજર રહેવાની મંજૂરી આપી છે. સાથે જ કોર્ટનું કહેવું છે કે બે પુખ્ત વયના વ્યક્તિઓને પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતાનો ભાગ છે. તેથી જેલ પ્રશાસનને તમામ ધાર્મિક વિધિ મુજબ લગ્ન કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ મામલે જસ્ટિસ ડૉ. પુષ્પેન્દ્ર સિંહ ભાટી અને જસ્ટિસ પ્રવીર ભટનાગરની ડિવિઝન બેન્ચે કેદી મૂળારામ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી બાદ આદેશ આપ્યો હતો.

વકીલ કાલુરામ ભાટીના જણાવ્યા અનુસાર મૂળારામ નાગૌર જિલ્લાના અરસિંગા ગામનો રહેવાસી છે. વર્ષ 2017માં તેના પિતા અને પડોશી યુવક વચ્ચે ખેતરના વિવાદ બાદ મૂળારામ તે યુવકને બાઈક પર લઈ ગયો હતો. બાદમાં યુવકનો મૃતદેહ પાણીના ટાંકા નજીકથી મળી આવ્યો હતો. આ કેસમાં મૂળારામની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2023માં તેને હત્યા, પુરાવા નષ્ટ કરવા અને સંપત્તિના દુરુપયોગના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મૂળારામને બે વર્ષ પહેલાં અજમેર જેલમાંથી જોધપુરની ઓપન જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

બીજી તરફ, મહિલા કેદી સીમા ઘડસે, જે પણ આજીવન કેદની સજા ભોગવી રહી છે, તેને લગભગ દોઢ વર્ષ પહેલાં જોધપુર મહિલા જેલમાંથી ઓપન જેલમાં મોકલવામાં આવી હતી. ઓપન જેલમાં બંને ખેતીનું કામ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઓળખાણ થઈ અને બાદમાં પ્રેમ સંબંધ બંધાયો. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હાલમાં સીમા 40 દિવસની પેરોલ પર જેલ બહાર છે.

સીમા ઘડસે મૂળ મુંબઈની રહેવાસી છે. વર્ષ 2016માં તેના લગ્ન જોધપુરના ઘંટાઘર વિસ્તારના કૌશલ રાજ અરોરા સાથે થયા હતા. આરોપ મુજબ, લગ્નના માત્ર બે મહિના બાદ સીમાએ સૂતેલા પતિના બંને હાથની નસ ધારદાર હથિયારથી કાપી નાખી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. બાદમાં તેણે દાવો કર્યો હતો કે ઘરમાં ચોર ઘૂસ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન સત્ય બહાર આવતા વર્ષ 2019માં કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

મૂળારામે લગ્નની મંજૂરી માટે રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે બંને પોતાની સ્વેચ્છાથી લગ્ન કરવા માંગે છે અને આ લગ્ન તેમના સામાજિક પુનર્વસન (Social Rehabilitation) માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા અહેવાલમાં બંનેની લગ્ન કરવાની ઇચ્છાની પુષ્ટિ કરવામાં આવી હતી. સરકારી વકીલોએ કોર્ટને જણાવ્યું કે ઓપન એર કેમ્પમાં લગ્ન કરાવવા અંગે સરકારને કોઈ વાંધો નથી અને નિયમો અનુસાર તેની મંજૂરી આપી શકાય છે. કોર્ટના આદેશ મુજબ લગ્ન સમારોહમાં પંડિત સહિત બંને પક્ષના વધુમાં વધુ 21 સગાસંબંધીઓને જ પ્રવેશ આપવામાં આવશે. જરૂર જણાય તો જેલ પ્રશાસન પોતાના વિવેકથી વધારાના લોકોને પણ મંજૂરી આપી શકશે.

લગ્નની તારીખ અગાઉથી જેલ પ્રશાસનને જણાવવી પડશે તેમજ સુરક્ષા, શિસ્ત અને ઓપન જેલની ગૌરવ જળવાઈ રહે તે માટે તમામ નિયમોનું પાલન કરવું પડશે. લગ્નનો સમગ્ર ખર્ચ બંને પક્ષે પોતે જ ઉઠાવવાનો રહેશે.

Share This Article