કળિયુગી કુમાતાનું કારસ્તાન: પ્રેમી સાથે મળી પોતાના જ દીકરાને પછાડી-પછાડીને મારી નાખ્યો

Rudra
3 Min Read

તેલંગાણાના મેડચલ જિલ્લામાંથી હૃદય કંપાવી દે તેવી એક ભયાનક ઘટના સામે આવી છે. એક કલિયુગી માતાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ બે વર્ષના માસૂમ પુત્રની નિર્દયતાથી હત્યા કરી નાખી. એટલું જ નહીં, હત્યા બાદ તેણે પતિને ગેરમાર્ગે દોરી બાળકનું સામાન્ય મૃત્યુ થયું હોવાનો નાટક કર્યો અને અંતિમ સંસ્કાર પણ કરાવી દીધા. જોકે, 20 દિવસ બાદ આખું સત્ય બહાર આવ્યું અને પોલીસે કબર ખોદીને બાળકનો મૃતદેહ બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવ્યું. આ ઘટના કીસારા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

મૂળ સિદ્દીપેટ જિલ્લાના જગદેવપુર મંડળના ટીગુલ ગામના રહેવાસી સ્વામી અને જ્યોતિ હાલમાં મેડચલ જિલ્લાના કીસારામાં રહેતા હતા. સ્વામી ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દંપતીને ચાર વર્ષની એક પુત્રી અને બે વર્ષનો પુત્ર હરિકૃષ્ણ હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યોતિના લગ્ન પહેલાં યાદાદ્રી ભુવનગિરી જિલ્લાના માધાપુર ગામના નવીન નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. લગ્ન બાદ પણ જ્યોતિએ નવીન સાથેનો સંબંધ તોડ્યો નહોતો. પતિ જ્યારે કામે જતો ત્યારે નવીન વારંવાર તેના ઘરે આવતો હતો.

29 મેના રોજ તેનો પતિ કામ પર ગયા બાદ નવીન જ્યોતિના ઘરે આવ્યો હતો. તે દરમિયાન બે વર્ષનો હરિકૃષ્ણ જોરજોરથી રડવા લાગ્યો અને તેમની પાસે આવવા લાગ્યો. બાળકના રડવાથી બંનેના એકાંતમાં ખલેલ પડતા નવીને જ્યોતિને કહ્યું કે બાળક તેમના સંબંધમાં અડચણ બની રહ્યો છે અને તેને રસ્તામાંથી હટાવી દેવું જોઈએ.

આ ભયાનક ષડયંત્રમાં સગી માતા જ્યોતિ પણ સામેલ થઈ ગઈ. બંનેએ મળીને માસૂમ હરિકૃષ્ણના પગ પકડી તેને હવામાં ઉછાળ્યો અને જોરથી જમીન પર પટક્યો. ત્યારબાદ તેની નિર્દયતાથી મારપીટ કરવામાં આવી. માથામાં ગંભીર ઇજા અને આંતરિક રક્તસ્રાવ થવાથી હરિકૃષ્ણનું ઘટનાસ્થળે જ મોત થયું.

હત્યા બાદ જ્યોતિએ રડવાનું નાટક શરૂ કર્યું અને ડ્યુટી પરથી પરત આવેલા પતિ સ્વામીને જણાવ્યું કે બાળકને અચાનક ગંભીર આંચકો આવતાં તેનું મોત થયું છે. પત્નીની વાત પર વિશ્વાસ કરીને સ્વામીએ કોઈ શંકા વ્યક્ત કરી નહોતી.

બાળકના મૃતદેહને તેમના વતન ટીગુલ ગામ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનોની હાજરીમાં તમામ ધાર્મિક વિધિઓ સાથે તેને દફનાવવામાં આવ્યો હતો.

સમય જતાં સ્વામીને પત્નીના બદલાયેલા વર્તન અને હરકતો પર શંકા જવા લાગી. આખરે તેણે પરિવારજનો અને સંબંધીઓને ભેગા કરીને જ્યોતિની કડક પૂછપરછ કરી. પરિવાર અને સમાજના દબાણ હેઠળ જ્યોતિ તૂટી પડી અને 20 દિવસ બાદ કબૂલાત કરી કે તેણે અને તેના પ્રેમી નવીને મળીને પોતાના પુત્રની હત્યા કરી હતી.

સત્ય સામે આવતા સ્વામીએ તરત જ કીસારા પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મેજિસ્ટ્રેટની હાજરીમાં ટીગુલ ગામના કબ્રસ્તાનમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો અને ફરી પોસ્ટમોર્ટમ કરાવ્યું.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી માતા જ્યોતિની ધરપકડ કરી જેલમાં મોકલી આપી છે, જ્યારે ફરાર પ્રેમી નવીનની શોધખોળ ચાલુ છે. 20 દિવસ બાદ સામે આવેલી આ ક્રૂર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. સ્થાનિક લોકો બંને આરોપીઓને કડકમાં કડક સજા, અહીં સુધી કે ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે.

Share This Article