નવી દિલ્હી: રાજધાની દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછા 20 લોકોના મોત તયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોમાં મોટાભાગે વિદેશી નાગરિકો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
એક પ્રત્યક્ષદર્શીએ મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો કે જ્યાં આગ લાગી તે હોટલ ગેરકાયદે રીતે ચલાવવામાં આવતી હતી. તેમણે જણાવ્યું: “આ હોટલમાં કોઈ ફાયર એક્ઝિટ નહોતો. ઇમારતમાં સીડી પણ નહોતી અને આખી હોટલ માત્ર લિફ્ટના આધારે ચાલતી હતી. આ છ માળની ઇમારત હતી. આગ લાગ્યા બાદ આસપાસના અન્ય હોટલોએ પણ પોતાના બોર્ડ હટાવી દીધા.”
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર ઘટના સવારે લગભગ 8 વાગ્યે બની હતી. તેમણે દાવો કર્યો કે આગ બાદ નજીકની દુકાનોમાંથી ગાદલા લાવીને નીચે પાથરવામાં આવ્યા હતા જેથી ઉપર ફસાયેલા લોકો જીવ બચાવવા માટે કૂદી શકે.
આગ દરમિયાન હોટલમાં ફસાયેલા ઘણા લોકોએ ઉપરના માળેથી કૂદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક ફાયર કર્મચારીએ જણાવ્યું કે આગ પર તો ઝડપથી કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં અને બચાવ કામગીરીમાં વધુ સમય લાગ્યો હતો. તેમણે જણાવ્યું કે કુલ 37 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
માહિતી મુજબ, ઘટનાસ્થળની સામે જ મેક્સ હોસ્પિટલ આવેલી હોવાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાંઓ અને પરિવારજનો સસ્તા ભાડે રહેવા માટે અહીં પેઇંગ ગેસ્ટ તરીકે રોકાતા હતા. આ વિસ્તારની ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો અને ઉપરના માળે રહેણાંક અથવા હોટલ જેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો કે આ વિસ્તારમાં 7થી 8 જેટલી છ માળની ઇમારતોમાં ગેરકાયદે હોટલો ચાલી રહી છે. એક સ્થાનિકે જણાવ્યું, “લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવે છે અને સસ્તા ભાડાને કારણે અહીં રહેવાનું પસંદ કરે છે. પરંતુ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે હોટલો ચલાવવામાં આવી રહી છે.”
દક્ષિણ જિલ્લાના એસડીએમ જીતેન્દ્ર કુમારે જણાવ્યું કે ઘટના અંગે માહિતી મળતાં જ પ્રશાસનની ટીમને સક્રિય કરવામાં આવી હતી.
તેમણે કહ્યું, “પ્રાથમિક માહિતી મુજબ ઇમારતના નીચેના ભાગમાં એક રેસ્ટોરન્ટ ચાલતું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ આગની શરૂઆત રેસ્ટોરન્ટમાંથી થઈ હોવાની શક્યતા છે.” એસડીએમએ વધુમાં જણાવ્યું કે આ મામલે કડક કાર્યવાહી જરૂરી છે અને સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવશે કે એક જ લાઇસન્સના આધારે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ન ચલાવવામાં આવે.
ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પગલાં લેવાશે
સ્થાનિક ભાજપના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે જણાવ્યું કે આ વિસ્તારમાં સારવાર માટે આવેલા લોકો મોટી સંખ્યામાં રહેતા હોય છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. આગની ઘટનાએ વિસ્તારના સુરક્ષા ધોરણો, ગેરકાયદે હોટલો અને ફાયર સેફ્ટી નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
