ગુજરાતના ૬૦માં સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમ થયા

2 Min Read

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૦ માં ગુજરાત સ્થાપના દિવસની શુભ સવારે ગુજરાતની મહા ગુજરાતની ચળવળનાં પ્રણેતા પૂજ્ય ઇન્દુચાચાનીપ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત સ્થાપના દિવસની ગુજરાત સહિતના સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે અમદાવાદમાં લાલ દરવાજા ખાતે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે, મહાગુજરાતની લડતમાં અનેક દૂધમલ યુવાઓ જોડાયા હતા.

પૂજ્ય રવિશંકર મહારાજના આશિર્વાદ અને પૂ.ઇન્દુંચાચાની અડગતાને પરિણામે આપણને આપણું આજનું ગુજરાત મળ્યું છે. પૂ. ઇન્દુચાચાને શબ્દાંજલિ આપતાં મુખ્યંમંત્રીએ જણાવ્યું હતું કે, પૂ.ઇન્દુ ચાચાની લડતને કારણે આપણું ગુજરાત ૧ લી મે ૧૯૬૦ના દિવસે અસ્તિત્વમાં આવ્યું હતું. આજે ગુજરાત નવા પડકારો ઝીલીને સમય સંજોગો પ્રમાણે એક થઇને આગળ વધી રહ્યું છે. આગે કદમ ભરીને વિશ્વમાં ગુજરાતે આગવી નામના મેળવી છે.

તેમણે કહ્યું કે, ગુજરાતને નં. ૧ બનાવવા પૂજ્ય ગાંધીજી, સરદાર પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણાથી માંડી મોરારજીભાઇ દેસાઇ અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના દરેક લોકોએ પોતાના પરિશ્રમ, પુરૂષાર્થ, ત્યાગ અને બલિદાનથી આ રાજ્યને સિંચ્યું છે. અનેક પડકારો અને કપરા સંજોગો સામે પણ ગુજરાતીઓ ગુજરાતની ગૌરવ યાત્રા-વિકાસ યાત્રાને અવિરત આગળ વધારી રહ્યા છે તેમજ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિરન બન્યું છે અને ગુજરાતની અસ્મિતા અને ગૌરવ દેશ-દુનિયામાં વધાર્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાત ગૌરવ દિવસના આજના દિવસે ગુજરાતના નાગરિકોને ગુજરાતને સમૃધ્ધ અને સલામત ગુજરાત બનાવી વિકાસની નૂતન દિશા કંડારતું રહે દશે દિશાએ વિકાસના વાવટા લ્હેરાવી નંબર વન બને તે માટે સંકલ્પબધ્ધ થવા આહ્વાન કર્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *