હાર્દિક દ્વારા અનામતના સંદર્ભે ઓબીસી પંચ સમક્ષ રજૂઆત

News KhabarPatri
2 Min Read

અમદાવાદ :  તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠા જાતિને અનામત આપવાની જાહેરાત કરતા તેની અસર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં વધુ થઇ છે. આ નિર્ણયને પગલે ગુજરતમાં અનામત આપવાની માંગ કરતા પાટીદાર નેતાઓ પણ ફરી સક્રિય બન્યા છે. આજે હાર્દિક પટેલના ગ્રીનવૂડ નિવાસસ્થાનેથી ગુજરાત પાસના ૨૫ કન્વીનરો પછાત વર્ગો માટેના ઓ.બી.સી.પંચને મળવા માટે ગયા હતા. જ્યાં પાટીદારોને અનામત આપવા મુદ્દે ઓ.બી.સી.પંચ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ હાર્દિક પટેલે કહ્યું કે, ત્રણ વર્ષના અંતે ઓબીસી કમિશનને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અનામત મળે એવા પૂરા ચાન્સ છે. ઓબીસી પંચ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. બંધારણના નામે અત્યાર સુધી ગુમરાહ કરવાનું કામ કર્યું છે.

હું ઓબીસી પંચનો આભાર માનું છું. હાર્દિક સહિતના પ્રતિનિધિમંડળે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાને લઇ કરવામાં આવેલી જાહેરાતની પેટર્ન મુજબ અનામત આપવાની પણ ચર્ચા કરી હતી તેમજ સમાજિક શૈક્ષણિક પછાતપણાનો સર્વે કરવા માટે અપીલ કરી હતી. એટલું જ નહી, આ સર્વેની કમિટીમાં પાટીદાર અનામત અદોલનના સમિતિના ૫ાંચ સભ્યોને લઈ સર્વે કરાવવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને બંધારણીય પ્રક્રિયાના આધારે અનામત આપવા અંગેનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે, ત્યારે ગુજરાતમાં પણ પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલને એકાએક ખબર પડી કે ગુજરાતમાં ચાલી રહેલા પંચ સમક્ષ સર્વે માટેની કામગીરી કરીને પ્રક્રિયા કરવાથી અનામત મળી શકે છે. જેથી હાર્દિક પટેલે ઓબીસી પંચના ચેરપર્સન સુજ્ઞાબેન ભટ્ટ સમક્ષ સર્વે કરવા માટેની રજૂઆત માટેનો સમય માંગ્યો હતો અને તે મુજબ આજે ૧૧ પાના ભરીને પોતાની રજૂઆતના મુદ્દા રજૂ કર્યા હતા. દરમ્યાન મહારાષ્ટ્રમાં મરાઠાને અનામતની જાહેરાત બાદ હવે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી પહેલા પાટીદારોને અનામતનો મામલો ગરમાયો છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ નવા ડેવલપમેન્ટ સામે આવે તેવી પણ શકયતા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *