350 વર્ષથી ઉઘાડા પગે ચાલતી આવતી અડગ શ્રદ્ધા, નવાપુરાથી બહુચરાજીનો અનોખો સંઘ

Rudra
3 Min Read

અમદાવાદના નવાપુરા સ્થિત જુના બહુચરાજી માતાના મંદિરમાંથી દર વર્ષે ચૈત્ર મહિનામાં નીકળતો ઐતિહાસિક પગપાળા સંઘ આજે પણ અવિરત રીતે પરંપરાગત રીતે આગળ વધી રહ્યો છે. આશરે ૩૫૦ વર્ષથી ચાલતી આ પરંપરા માતાજીના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ દ્વારા શરૂ કરાયેલી હોવાનું માનવામાં આવે છે.

આ સંઘની વિશેષતા એ છે કે તે માતાજીના નિજ મંદિરમાંથી જ પ્રસ્થાન કરી શક્તિપીઠ બહુચરાજી સુધી પહોંચે છે. એમ કહી શકાય કે માતાજીના એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જતો આ એકમાત્ર એવો સંઘ છે, જ્યારે અન્ય સંઘો પોતાના ઘર અથવા અલગ સ્થળોથી શરૂ થાય છે.

વલ્લભ ભટ્ટની પરંપરા અનુસાર, સંઘના ભક્તો પાંચ રાત્રી સુધી ઘરની બહાર રહી માતાજીની ઉપાસના કરે છે અને છઠ્ઠા દિવસે સવારે દર્શન કર્યા પછી જ યાત્રા પૂર્ણ માનવામાં આવે છે. આ કરવઠું આજે પણ સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમ સાથે પાલન કરવામાં આવે છે.

સંઘમાં માતાજીનું નિશાન એટલે કે ધજા વિશેષ આસ્થા ધરાવે છે. નિજ મંદિરમાંથી નીકળતી વખતે ધજાજીને માતાજીના ચરણસ્પર્શ કરાવવામાં આવે છે અને ભક્તોમાં એવી ભાવના છે કે જાણે માં બહુચર ધજામાં બિરાજમાન થઈ સંઘ સાથે યાત્રા કરે છે. માર્ગમાં ઉતારા સ્થળોએ નિયમિત આરતી અને ભોગની પરંપરા જળવાયેલી છે.

વિશેષ નોંધનીય વાત એ છે કે ધજા ઉચકનાર ભક્તો ચૈત્ર મહિનાની તાપમાં પણ ઉઘાડા પગે (ચંપલ વગર) યાત્રા કરે છે, જે તેમની અડગ શ્રદ્ધા અને તપસ્યાનું પ્રતિક છે.

સંઘ દરમિયાન જ્યાં પણ માતાજીની ધજા બિરાજમાન હોય છે, ત્યાં ભક્તો એ સ્થાનને માતાજીની હાજરી માનીને ઉંધા પગે પાછા ફરે છે અને પીઠ દર્શાવતા નથી. આ અનોખી પરંપરા બહુચરાજી પહોંચ્યા બાદ પણ યથાવત્ રહે છે.

ચૈત્ર સુદ ચૌદસના દિવસે સંઘ વલ્લભ ભટ્ટની વાવ ખાતે પહોંચે છે, જ્યાં પરંપરાગત રીતે પૂજા અને ધજાજીની વિશેષ આરતી કરવામાં આવે છે. ત્યારબાદ વાજતે ગાજતે ઉતારા તરફ પ્રસ્થાન થાય છે.

પૂનમની વહેલી સવારે શંખલપુર સ્થિત માતાજીના આદ્યસ્થાન ખાતે જઈ મહંત શ્રી અલ્કેશભાઈ ત્રિવેદી દ્વારા પરંપરા મુજબ લાડુનો ગોખ ભરી આરતી અને ધજા અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ બહુચરાજી ખાતે વરખડી નીચેના આદ્યસ્થાનમાં પણ વિધિવત્ પૂજન કરવામાં આવે છે.

“ચાલો ચાલીને ચુવાળ જઈએ” આ સંઘનું માત્ર વાક્ય નહીં પરંતુ ભક્તિ અને પરંપરાનું પ્રતિક છે. નવાપુરામાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે, પરંતુ ચૈત્ર મહિનાનો આ સંઘ તેની ઐતિહાસિકતા અને આધ્યાત્મિક મહત્ત્વને કારણે વિશેષ સ્થાન ધરાવે છે.

આ રીતે નવાપુરા જુના બહુચરાજી માતાના મંદિરમાંથી નીકળતો આ પગપાળા સંઘ ભક્તિ, તપસ્યા અને સંસ્કૃતિનું અનોખું પ્રતિબિંબ બની આજે પણ અખંડ રીતે આગળ વધી રહ્યો છે.

Share This Article