અમદાવાદ : શહેરના જમાલપુર મંદિરેથી શુક્રવારે (૨૭ જૂન) જગન્નાથજી ભગવાન નગરયાત્રાએ નીકળશે. જાેકે, આ પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ છે. બુધવારે ત્રણેય ભાઈ-બહેનના આંખે પાટા બાંધવામાં આવ્યા જે અષાઠી બીજે યાત્રાના આગમન પહેલાં મંગળા આરતીના સમયે ખોલવામાં આવશે. પરંપરા અનુસાર, મોસાળમાંથી ઘરે આવેલા ત્રણેય ભાઈ બહેનને આંખ આવતા તેમની આંખે પાટા બાંધવામાં આવે છે. આ વિધિમાં સમિતિના ટ્રસ્ટી ઉપરાંત સંતો-મહંતોએ હાજરી આપી હતી.
તેમજ આ દિવસે નેત્રોત્સવ વિધિ તો થાય છે પરંતુ મંદિરમાં જુદી જુદી જગ્યાએથી આવેલા હજારો સાધુ સંતોનો ભંડારો પણ કરવામાં આવે છે સાધુ-સંતોને ભોજન પીરસી તેમને સત્કરવામાં આવે છે. ત્યારે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ આજના દિવસે અહીંયા ભંડારામાં ભોજન લે છે જગન્નાથ મંદિરની પ્રસાદી માટે કહેવાય છે કાલી રોટી સફેદ દાલ એટલે કે માલપુવા અને દૂધપાક હજારો ભક્તો અહીંયા પ્રસાદી રૂપે આરોગે છે.તેમજ દેશભરના સાધુ સંતોએ પણ પ્રસાદ લીધો હતો.
આ નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા. આ સિવાય મંદિરમાં ધ્વજા રોહણ કરવામાં આવ્યું. જેમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા હતા. આ સિવાય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.