અમદાવાદ પ્લેન ક્રેશ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ થતાં ગુજરાતમાં શોકનો માહોલ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે (૧૨ જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત ૯૧ લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટી કરી છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે.

વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. વિજય રૂપાણીના ઘરની બહાર ભારે ભીડ જામી છે.

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઈને સીઆર પાટીલે કહ્યું કે, ‘અમદાવાદમાં થયેલી મોટી વિમાન દુર્ઘટનાએ દેશભરને હચમચાવી દીધા છે. ઈન્ટરનેશનલ જનારા પ્લેનમાં તમામ લોકોને હાનિ પહોંચી છે. એમનો કોઈને કોઈ મોકો પણ ન મળ્યો અને શહેરની વચ્ચે ઘટના સર્જાઈ તો આપણે કાંઈ ન કરી શક્યા, જેનું ઘણું દુ:ખ છે. મૃતકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવાજનોની આપત્તિજનક સ્થિતિમાં શક્તિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. આ પ્લેનમાં અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા, જેઓ તેમના પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા. તેઓ પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. ભાજપ પરિવારમાં બહુ મોટી ખોટ આવી છે.‘

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, વિજયભાઇ રૂપાણી, જેમની સાથે ગુજરાત વિધાનસભામાં એક સાથી તરીકે કામ કર્યું હતું. તેમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુંના સમાચાર દુર્ભાગ્યપૂર્ણ છે. અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુ:ખદ સમાચાર મળ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા છે તેવા સમાચારોથી ખુબ વ્યથિત છું.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (૧૨ જૂન) અમદાવાદ નજીક થયેલી વિમાન દુર્ઘટનાની દુ:ખદ સમાચાર મળતાની સાથે જ પોતાનો પ્રવાસ તાત્કાલિક રોકી અમદાવાદ માટે રવાના થઇ ગયા છે. તેમણે શોક વ્યક્ત કરતાં માહિતી આપી હતી કે, આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોવાની માહિતી જાણીને દુ:ખ થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ ઘડીએ હિંમત આપે.

Share This Article