રાજકોટ : ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આગામી ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. આ બંને ટ્રેન તેના રૂટ દરમિયાન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ સહિતના સ્ટેશનો પર ઊભી રહીને આગળ વધશે.
પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે બે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ર્નિણય કરાવામાં આવ્યો છે. જેમાં આગામી જૂન મહિનાથી દર મંગળવારે સાંજના ૧૮.૫૫ કલાકે ગાંધીધામથી તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉપડીને મુંબઈ સેન્ટ્રલ તરફ જશે. આ ટ્રેન આગામી ૩૦ જૂન સુધીમાં ૧૦ ફેરાઓ મારશે.
આ બાબતે રેલવે વિભાગે જણાવ્યું હતું કે, આગામી ૩૦ મેથી દર ગુરૂવાર અને શનિવારે સાંજના ૧૮:૩૦ કલાકે રાજકોટથી તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉપડીને મુંબઈ સેન્ટ્રલ તરફ જશે. આ ટ્રેન આગામી ૨૮ જૂન સુધીમાં કુલ ૧૮ ફેરાઓ મારશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ સ્ટેશનો પર ઊભી રહીને આગળ વધશે.