મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં કોહડ્યા ડુંગર પહાડીની 250 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં માતા, પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. આ કરુણ ઘટના પુત્રના નવા આઇફોનની EMI ભરવા બાબતે થયેલા ઘરેલુ વિવાદ બાદ બની હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના બાદ યુવકની માતા સંગીતા ચાંદગુડેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સંગીતા લોકપ્રિય યુટ્યુબર હતાં અને તેમની યુટ્યુબ ચેનલ પર 29 હજારથી વધુ સબસ્ક્રાઇબર્સ હતા. મોતના બરાબર એક દિવસ પહેલાં તેમણે સંબંધોની કદર અને તેમના મહત્વને લઈને એક ભાવુક વીડિયો શેર કર્યો હતો.
પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કરાયેલા એક મિનિટના મરાઠી વીડિયોમાં સંગીતાએ સંબંધોમાં પરસ્પર સન્માન અને કદરના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તમારી કિસ્મત એવા વ્યક્તિને સોંપવા માટે તૈયાર રહો, જે તમારી અને તમારા પ્રેમની કદર કરે. જો કોઈ વ્યક્તિ તમારી, તમારા પ્રેમની અથવા તમે તેના માટે જે કરો છો તેની કદર ન કરતો હોય તો આવા વ્યક્તિ માટે કંઈપણ કરવાનો કોઈ અર્થ નથી.”
youtube.com/watch?v=7sBOa8vqq5E&time_continue=2&source_ve_path=MjM4NTE&embeds_referring_euri=https%3A%2F%2Fwww.msn.com%2F
સંગીતા લગભગ છ વર્ષ પહેલાં પોતાના મોટા પુત્રનું બીમારીના કારણે અવસાન થયા બાદથી પતિથી અલગ રહેતાં હતાં. તેમણે સંબંધોની સરખામણી રોટલી સાથે કરતાં કહ્યું હતું, “રોટલી ત્યારે જ સારી લાગે છે જ્યારે તે બંને બાજુથી શેકાય. ઠીક એવી જ રીતે સંબંધોનું પણ છે. જો સંબંધ બંને તરફથી નિભાવવામાં આવે અને બંને એકબીજાનું સન્માન કરે તો જ તેમાં રહેવાનો ફાયદો છે. જો માત્ર એક જ વ્યક્તિ પ્રયાસ કરી રહી હોય તો આવા સંબંધમાંથી બહાર નીકળી જવું વધુ સારું છે.”
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર ઘટના શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે શરૂ થઈ હતી. 18 વર્ષના કુણાલે તાજેતરમાં નવો આઇફોન ખરીદ્યો હતો અને તેની EMI ભરવા માટે તે સતત પરિવાર પર દબાણ કરી રહ્યો હતો. આ મુદ્દે ઘરમાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કુણાલ ગુસ્સામાં ઘરેથી નીકળીને પહાડી પર ચઢી ગયો હતો.
કુણાલનો જીવ જોખમમાં હોવાનું જણાતાં તેના પિતા મુરલીધર અને માતા સંગીતા સ્થાનિક ગ્રામજનો સાથે તેને સમજાવવા માટે પહાડી પર પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાકની સમજાવટ અને મહેનત બાદ મુરલીધર પહાડીની ધાર પર ઊભેલા કુણાલ પાસે પહોંચ્યા હતા અને તેને પાછળ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન બંનેનું સંતુલન બગડતાં તેઓ 250 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયા હતા. પોતાની આંખો સામે પતિ અને પુત્રને નીચે પડતા જોઈને સંગીતા પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને થોડી જ સેકન્ડમાં તેમણે પણ પહાડી પરથી છલાંગ લગાવી દીધી હતી. ખીણમાં પડવાથી ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કુણાલનો આ પહાડી સાથે અગાઉથી નાતો હતો. ગયા વર્ષે પણ તે આત્મહત્યા કરવાના ઈરાદે આ જ પહાડી પર પહોંચ્યો હતો. તે સમયે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેની કાઉન્સેલિંગ કરી હતી અને તેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો.

