IND vs SL: ગાલેમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમને પહેલા આંચકો રનઆઉટના રૂપે લાગ્યો છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. યશસ્વી પીચ પર સેટ થઈ ચૂક્યો હતો, પરંતુ ત્યારબાદ રનઆઉટ થવાના કારણે તેમને પેવેલિયન પરત ફરવું પડ્યું. આ વિકેટ બાદ શ્રીલંકા પર રમતની ભાવનાનું સન્માન ન કરવાનો આરોપ પણ લાગી રહ્યો છે.
કેશરા નુવંથાની બોલિંગમાં કેએલ રાહુલે મિડ-ઓન તરફ શોટ રમીને સિંગલ લેવાનો પ્રયાસ કર્યો. બોલને રોકવા માટે નુવંથાએ પોતાની જમણી તરફ ડાઇવ લગાવી, પરંતુ આ દરમિયાન નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલા યશસ્વી જયસ્વાલ સાથે તેમની ટક્કર થઈ ગઈ.
ધક્કો લાગવાને કારણે યશસ્વીનું સંતુલન બગડ્યું અને તે પીચ પર પડી ગયો. બીજી તરફ કેએલ રાહુલ સિંગલ લેવા માટે ઘણો આગળ નીકળી ચૂક્યો હતો. જ્યારે રાહુલે જોયું કે યશસ્વી પડી ગયો છે, ત્યારે તેણે દોડવાનું રોકી દીધું. આ દરમિયાન યશસ્વી ઊભો થયો અને આગળ વધવાનો ઈશારો કર્યો, જેના કારણે રાહુલને લાગ્યું કે રન પૂર્ણ કરવામાં આવશે.
પરંતુ આગલી જ ક્ષણે યશસ્વીએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને પાછો ક્રીઝ તરફ ફરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બંને બેટ્સમેન વચ્ચે ગેરસમજ થઈ ગઈ અને બંને એક જ છેડે પહોંચી ગયા. રાહુલ પહેલેથી જ ક્રીઝમાં પહોંચી ચૂક્યો હતા. મિડ-ઓન તરફથી થ્રો બેટિંગ એન્ડ પર આવ્યો અને નિયમો અનુસાર યશસ્વી જયસ્વાલને રનઆઉટ જાહેર કરવામાં આવ્યા.
શ્રીલંકાના વિકેટકીપર નિરોશન ડિકવેલાના હાથમાં બોલ આવ્યો ત્યારે તેમણે તરત જ બેલ્સ ઉડાવી નહોતી. ડિકવેલાએ પહેલાં સ્લિપમાં ઊભેલા કેપ્ટન ધનંજય ડી સિલ્વા તરફ જોયું, જાણે તેઓ જાણવા માગતા હોય કે અપીલ ચાલુ રાખવી કે નહીં. ધનંજય ડી સિલ્વાએ સંકેત આપ્યો કે તેમાં કંઈ ખોટું નથી. ત્યારબાદ ડિકવેલાએ સ્ટમ્પ્સ ઉખાડી નાખ્યા. શ્રીલંકાએ અપીલ યથાવત રાખી અને યશસ્વી જયસ્વાલને આઉટ જાહેર કરવામાં આવ્યા અને તે 32 રન બનાવીને રન આઉટ થઈ ગયો.

