GLS યુનિવર્સિટીમાં ‘Decoded @ GLS’: સુધીર નાણાવટીએ વિદ્યાર્થીઓને આપ્યો જીવન અને કાયદાનો અમૂલ્ય મંત્ર

Rudra
2 Min Read

અમદાવાદ: GLS યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અંતર્ગત ઇન્ટિગ્રેટેડ લો, થ્રી-યર એલએલ.બી. અને એલએલ.એમ.ના વિદ્યાર્થીઓ માટે વિશેષ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે આયોજિત ‘Decoded @ GLS’ કાર્યક્રમની વિશેષ આવૃત્તિમાં GLS યુનિવર્સિટીના પ્રમુખ, ગુજરાત લો સોસાયટીના ઉપપ્રમુખ તેમજ ગુજરાત હાઈકોર્ટ અને ભારતના સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સુધીર નાણાવટી સાથે અર્થસભર સંવાદ યોજાયો. આ સંવાદનું સંચાલન GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયા એ કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સુધીર નાણાવટીએ પોતાના બાળપણ, જીવનપ્રવાસ અને કાનૂની ક્ષેત્રના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા. તેમણે જણાવ્યું કે શિસ્ત, પ્રામાણિકતા અને સમાજ પ્રત્યેની જવાબદારી જેવા મૂલ્યો વ્યક્તિના વ્યક્તિત્વને ઘડે છે અને સફળ કારકિર્દી માટે એટલાં જ મહત્વપૂર્ણ છે જેટલું જ્ઞાન.

તેમણે કોર્ટરૂમના વિવિધ અનુભવોને ટાંકતા જણાવ્યું કે કાયદો માત્ર દલીલો અને ચુકાદાઓનો વિષય નથી, પરંતુ તેમાં નૈતિકતા, જવાબદારી અને માનવીય સંવેદનાઓનું પણ વિશેષ સ્થાન છે. તેમના અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને કાનૂની વ્યવસાયના એવા પાસાં સમજવા મળ્યા, જે પુસ્તકોની બહારના જીવનનો પરિચય કરાવે છે.

ગંભીર ચર્ચા વચ્ચે ક્રિકેટ, ગુજરાતી સંસ્કૃતિ, ભોજન અને રોજિંદા જીવન સાથે જોડાયેલા હળવા સંવાદોએ કાર્યક્રમને વધુ જીવંત અને આત્મીય બનાવ્યો. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને પોતાના વિચારો રજૂ કર્યા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ એક સક્રિય અને વિચારપ્રેરક સંવાદમાં પરિવર્તિત થયો.

નાણાવટીએ પોતાના જીવનના સંસ્મરણો અને અનુભવો દ્વારા નેતૃત્વ, નિર્ણયક્ષમતા અને જવાબદારી વિશે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા. કાર્યક્રમના અંતે તેમણે સફળતા, આંતરિક શાંતિ અને માનવતા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં શિસ્ત, નૈતિકતા અને સતત શીખતા રહેવાની વૃત્તિને અર્થપૂર્ણ જીવનના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને માત્ર કાયદા વિષયક જ્ઞાન જ નહીં, પરંતુ જીવનમૂલ્યો, વ્યક્તિત્વ વિકાસ અને જવાબદાર વ્યાવસાયિક બનવા માટેની પ્રેરણા પણ મળી. આ રીતે ‘Decoded @ GLS’ વિદ્યાર્થીઓ માટે તેમની શૈક્ષણિક સફરની યાદગાર અને પ્રેરણાદાયી શરૂઆત બની રહ્યો.

Share This Article