પશ્ચિમ બંગાળની હલ્દિયા રિફાઈનરીમાં નાફ્થા પાઈપલાઈનમાં લાગી ભીષણ આગ, અનેક કર્મચારીઓ દાઝ્યા

Rudra
2 Min Read

કોલકાતા: પશ્ચિમ બંગાળના હલ્દિયામાં આવેલી રિફાઈનરીમાં મંગળવારે વહેલી સવારે નાફ્થા લઈ જતી મુખ્ય પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતાં અનેક કર્મચારીઓ દાઝી ગયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સવારે રિફાઈનરીમાં નાફ્થાની સપ્લાય ચાલી રહી હતી ત્યારે અચાનક પાઈપલાઈનમાં આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પાઈપલાઈનની આસપાસ કામ કરી રહેલા કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ગયા.

સ્થાનિક લોકો અને ફેક્ટરીના અધિકારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલ કર્મચારીઓને બહાર કાઢીને હલ્દિયા સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.

ફેક્ટરીના અધિકારીઓએ જણાવ્યું કે સવારે અંદાજે 4થી 4:30 વાગ્યાની વચ્ચે નાફ્થાની પાઈપલાઈનમાં આગ લાગી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઘટના પ્લાન્ટની નજીક આવેલા નાફ્થાની ચોરી માટે બનાવાયેલા એક ગેરકાયદેસર પોઈન્ટ પાસે બની હોઈ શકે છે. નાફ્થા અત્યંત જ્વલનશીલ હાઈડ્રોકાર્બન હોવાથી કંપનીએ અગાઉ પણ સ્થાનિક લોકોને પેટ્રોલિયમ ઉત્પાદનો સાથે ગેરકાયદેસર ચેડાં ન કરવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા ચેતવણી આપી હતી.

હાલ ટેકનિકલ ટીમ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ આગનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

Share This Article