અમદાવાદ: ડેફબ્લાઇન્ડ વ્યક્તિઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને સમાવેશી સમાજના નિર્માણનો સંદેશ આપવા માટે સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા (Sense International India) દ્વારા આયોજિત ‘મેસેન્જર્સ ઓન સાયકલ્સ 2026’ની 12મી આવૃત્તિનું આયોજન રવિવાર, 28 જૂનના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 1,000થી વધુ સાયકલસવારો, વોકર્સ, પરિવારજનો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટ ટીમો, સ્વયંસેવકો તેમજ ડેફબ્લાઇન્ડ અને અન્ય વિશિષ્ટ ક્ષમતા ધરાવતા લોકો જોડાયા હતા.
દર વર્ષે હેલન કેલરની જન્મજયંતિ અને આંતરરાષ્ટ્રીય ડેફબ્લાઇન્ડ દિવસ (27 જૂન) નિમિત્તે ઉજવાતા ડેફબ્લાઇન્ડ અવેરનેસ વીકના સમાપન પ્રસંગે યોજાતી આ ઇવેન્ટનો મુખ્ય હેતુ ડેફબ્લાઇન્ડ વ્યક્તિઓના જીવન, તેમના પડકારો અને અધિકારો અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. છેલ્લા 12 વર્ષમાં ‘મેસેન્જર્સ ઓન સાયકલ્સ’ અમદાવાદની સૌથી મોટી અને લોકપ્રિય સમાવિષ્ટ સામુદાયિક ઇવેન્ટ્સમાં સ્થાન મેળવી ચૂકી છે.
સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર બીજુ મેથ્યુએ જણાવ્યું હતું કે, “આ માત્ર રમતગમતની ઇવેન્ટ નથી, પરંતુ સમાવેશ અને સહભાગિતાનો ઉત્સવ છે. દરેક ભાગલેનાર ડેફબ્લાઇન્ડ વ્યક્તિઓ માટે અવાજ ઉઠાવી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંદેશ આપે છે.”
ઇવેન્ટ દરમિયાન વિવિધ કેટેગરીઓમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. તેમાં પુખ્ત વયના લોકો માટે 15 કિમી સાયકલોથોન, બાળકો માટે 5 કિમી સાયકલોથોન, 3 કિમી ટ્રાયસાયકલ રાઇડ અને 5 કિમી વોકેથોનનો સમાવેશ થાય છે.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘ડેફબ્લાઇન્ડ એક્સપિરિયન્સ ઝોન’ રહેશે, જ્યાં મુલાકાતીઓ દૃષ્ટિ અને શ્રવણશક્તિ વિના જીવનનો અનુભવ કરીને ડેફબ્લાઇન્ડ વ્યક્તિઓના રોજિંદા પડકારોને નજીકથી સમજી શકશે. ઉપરાંત બોલિવૂડ ઝુમ્બા, ઇન્ટરેક્ટિવ ગેમ્સ, કમ્યુનિટી એંગેજમેન્ટ પ્રવૃત્તિઓ, નાસ્તો અને મેડલ વિતરણ જેવી અનેક મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. ઉત્તમકુમારે જણાવ્યું હતું કે, “12 વર્ષ પહેલાં એક નાનકડા પ્રયાસ તરીકે શરૂ થયેલી આ પહેલ આજે શહેરવ્યાપી જનઆંદોલન બની ગઈ છે. નાગરિકો, શાળાઓ, કોર્પોરેટ્સ અને સ્વયંસેવકોના સહયોગથી આ ઇવેન્ટ ડેફબ્લાઇન્ડ વ્યક્તિઓ માટે જાગૃતિ અને સહયોગનું મહત્વપૂર્ણ માધ્યમ બની છે.”
કાર્યક્રમમાંથી એકત્રિત થતી રકમનો ઉપયોગ દેશભરના ડેફબ્લાઇન્ડ બાળકો અને પુખ્તવયના લોકો માટે શિક્ષણ, સંદેશાવ્યવહાર, પુનર્વસન અને જીવનકૌશલ્ય વિકાસના કાર્યક્રમોમાં કરવામાં આવશે.
1997માં સ્થાપિત સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા હાલમાં દેશના 25 રાજ્યોમાં 84,000થી વધુ ડેફબ્લાઇન્ડ અને બહુવિધ અક્ષમતા ધરાવતા લોકો સુધી પહોંચી ચૂકી છે. સંસ્થાએ અત્યાર સુધીમાં 63,500થી વધુ બાળકોને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
સંસ્થાએ અમદાવાદના નાગરિકોને આ અનોખી સામાજિક પહેલમાં જોડાઈને વધુ સમાવેશી અને સંવેદનશીલ સમાજના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી છે.

