ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને અથ્રેયા શેટ્ટીની આગાહી

Rudra
3 Min Read

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસા પહેલાં પ્રિ-મોનસૂન પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 14 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, નૈઋત્યનું ચોમાસું મુંબઈ નજીક પહોંચી ગયું હોવા છતાં ગુજરાતમાં તેના આગમન અંગે હવામાન નિષ્ણાતોમાં અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચોમાસું હાલમાં ગુજરાતથી અંદાજે 250 કિલોમીટર દૂર છે. જોકે રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 14 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

- Advertisement -
Ad imageAd image

પશ્ચિમ ભારતમાં ચોમાસાની ગતિ વધી

હવામાન વિભાગના અનુમાન અનુસાર પશ્ચિમ ભારતમાં ચોમાસાની ગતિવિધિ ધીમે ધીમે મજબૂત બની રહી છે. 10 જૂન સુધી કોંકણ અને ગોવામાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 9 જૂનના રોજ અનેક વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ વરસાદ અને તેજ પવનની શક્યતા છે. 12 જૂન બાદ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિઓ વધુ સક્રિય બનવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

9 જૂન માટે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલે શું કહ્યું?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન ચોમાસાનો વિધિવત વરસાદ શરૂ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે 8 જૂન બાદ દરિયાઈ પવનોની દિશામાં ફેરફાર થવાની શક્યતા છે. 15 જૂન પછી રાજ્યમાં પવનની ગતિ વધશે અને 16થી 17 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલના મતે રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે ગતિ પકડશે અને 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી શકે છે.

અથ્રેયા શેટ્ટીની આગાહી

હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ પણ ગુજરાતના ચોમાસા અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસાનું આગમન સામાન્ય સમય કરતાં થોડું મોડું થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે તટીય મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે, જેના કારણે ગુજરાતમાં તેના આગમનમાં પાંચથી છ દિવસનો વિલંબ થઈ શકે છે. તેમના અનુમાન પ્રમાણે 23 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી મર્યાદિત રહી શકે છે અને ત્યારબાદ ધીમે ધીમે આગળ વધશે. સમગ્ર ગુજરાતમાં ચોમાસું બીજી જુલાઈની આસપાસ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાહત અને રાહ બંને

એક તરફ રાજ્યમાં પ્રિ-મોનસૂન વરસાદી પ્રવૃત્તિઓ ખેડૂતો અને ગરમીથી પરેશાન લોકોને રાહત આપી શકે છે, તો બીજી તરફ ચોમાસાના સત્તાવાર આગમન માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ અને ચોમાસાની ગતિ પર સૌની નજર રહેશે.

Share This Article