ગાંધીનગર: સામાજિક કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં અગ્રેસર સંસ્થા ‘ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક દેશવ્યાપી અને બહુઆયામી સામાજિક અભિયાન “પ્રોજેક્ટ રક્તસેતુ” (Project Raktasetu) ની શરૂઆત કરવામાં આવી છે. “રક્ત સે રાષ્ટ્ર સેવા ” ના પવિત્ર સૂત્ર સાથે ૭ જૂન ૨૦૨૬ ના રોજ, બાલમુકુંદ હાઇટ્સ, ગાંધીનગર ખાતે આ પ્રોજેક્ટ અંતર્ગત એક વિશાળ જનકલ્યાણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં સ્વાસ્થ્ય, સુરક્ષા અને પર્યાવરણને સાંકળતી વિવિધ પ્રવૃત્તિઓ એક જ મંચ પર યોજાઈ હતી
રક્તદાન કેમ્પમાં ઈમરજન્સી સેવાઓ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રેડક્રોસ સોસાયટી ના સહયોગથી સ્વેચ્છિક રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં નાગરિકો અને યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ કેમ્પમાં પગરવ હોસ્પિટલના સહયોગથી ડો.આનંદ બારોટ અને તેમની ટીમમાંથી જનરલ મેડિસિન અને ઓર્થોપેડિક (હાડકાના રોગો) ની તપાસ તેમજ ‘ધ સ્પાઇન સેન્ટર’ ના ડો. હિરેન દાચા અને તેમની ટીમ દ્વારા અત્યાધુનિક ફિઝિયોથેરેપી કેમ્પનું આયોજન કરી દર્દીઓને મફત પરામર્શ અને રાહત આપવામાં આવી હતી. આ સાથે મહિલાઓ માટે વિશેષ ‘મહિલા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ’ પણ યોજાયો હતો.
સાયબર સુરક્ષા જાગૃતિ: વર્તમાન ડિજિટલ યુગમાં વધતા જતા ઓનલાઇન ફ્રોડ અને સાયબર ગુનાઓથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે ગાંધીનગર પોલીસ સાયબર ક્રાઇમ સેલના પીઆઇ જે.કે. પંડ્યાના માર્ગદર્શનમાં એએસઆઇ સૌરભ સુથાર અને અન્ય અધિકારીઓ દ્વારા વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં સુરક્ષિત ડિજિટલ બેન્કિંગ અને સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ કેળવાય તે હેતુથી એક વિશેષ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ પર્યાવરણ બચાવવાના સુંદર સંદેશાઓ રંગો દ્વારા કંડાર્યા હતા.
ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મયુર જોષીએ પ્રોજેક્ટ રક્તસેતુ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “એક વિકસિત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે દેશનો છેવાડાનો નાગરિક સ્વસ્થ, સુરક્ષિત અને પર્યાવરણ પ્રત્યે જાગૃત હોય. ‘પ્રોજેક્ટ રક્તસેતુ’ માત્ર લોકસેવાનો સેતુ નથી, પરંતુ નાગરિકોમાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી જગાડવાનું એક જન-આંદોલન છે. આજે ગાંધીનગર ખાતેથી શરૂ થયેલો આ સેવાયજ્ઞ આગામી દિવસોમાં દેશના વિવિધ જિલ્લાઓ સુધી પહોંચશે.”
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે બાલમુકુંદ હાઇટ્સના રહેવાસીઓ, સ્થાનિક અગ્રણીઓ, તબીબો અને ઉદગમ ટ્રસ્ટના સ્વયંસેવકો ભૂમિબેન જોગાણી, વીણાબેન વોરા, જસ્મિ, તૃષા, પલ, મેહ, રાજદીપ, રુસિકએ ભારે જહેમત ઉઠાવી હતી.
