રાજ્યની કોઇપણ આર.ટી.ઓ. કચેરીમાંથી ડ્રાયવિંગ લાયસન્સ રીન્યુ કરાવી શકાશે

News KhabarPatri
1 Min Read

રાજ્યના વાહનચાલક મિત્રો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં વાહનચાલકો રાજ્યની કોઇપણ આર.ટી.ઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરાવી શકશે. જેનાથી નાણાં, શક્તિ અને સમયની બચત થશે, એમ વાહનવ્યવહાર કમિશનરશ્રી દ્વારા જણાવાયું છે.

વાહનચાલકોએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા બાદ નોકરી, લગ્ન, ધંધા, રોજગાર અર્થે મૂળ કાર્યક્ષેત્રની બહાર જવું પડતું હોય છે ત્યારે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પુરી થઇ જાય અને આ માટે રીન્યુ કરાવવા મૂળ કચેરીમાં આવવું પડતુ હતું તેને ધ્યાનમાં લઇને આ મહત્વનો નિર્ણય કરાયો છે. આ નિયમ ૦૭ જુન, ૨૦૧૮થી અમલી થશે જેના દ્વારા નાગરિકો ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ તેમજ નામ પણ બદલી શકશે. પરંતુ મૂળ લાયસન્સનો નંબર, હયાત વર્ગ, જન્મ તારીખ, ઇસ્યુ તારીખ બદલી શકાશે નહી.

અરજદારે www.parivahan.gov.in વેબસાઇટ ઉપર જે કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરાવવા જવું હોય તે કચેરી સિલેક્ટ કરી ઓનલાઇન જરૂરી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.

Share This Article