નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના CEO અને રમતગમતના વ્યવસાય ક્ષેત્રના અનુભવી નિષ્ણાત સંજોગ ગુપ્તાનું કહેવું છે કે કોઈ હેતુ કે સંદર્ભ વગર રમાતી T20 સિરીઝનું કોઈ ભવિષ્ય નથી અને આવી સિરીઝ ટૂંક સમયમાં બંધ થઈ જશે. ગયા વર્ષે જુલાઈમાં ICCના CEOનું પદ સંભાળનારા સંજોગ ગુપ્તાએ PTIને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. સંજોગ ગુપ્તાએ કહ્યું કે વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી T20 લીગ વચ્ચે ટેસ્ટ અને વનડે ક્રિકેટના ભવિષ્યને લઈને સતત ચર્ચા થઈ રહી છે.
સંજોગ ગુપ્તાએ કહ્યું: કોઈ હેતુ અને સંદર્ભ વિના આયોજિત કરવામાં આવતી દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝનો યુગ હવે પૂરો થવો જોઈએ. આવી સ્થિતિમાં વનડે ક્રિકેટ માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ આગળ પણ મજબૂતીથી વિકસી શકે છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં વનડેની પોતાની સ્પષ્ટ અને મહત્વપૂર્ણ ભૂમિકા છે, જે પુરુષ અને મહિલા ICC ક્રિકેટ વર્લ્ડ કપ સાથે અભિન્ન રીતે જોડાયેલી છે.
નોંધનીય છે કે દ્વિપક્ષીય સિરીઝનું શેડ્યૂલ સભ્ય દેશોના ક્રિકેટ બોર્ડ પોતે નક્કી કરે છે. ICC માત્ર વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન અને શેડ્યૂલ નક્કી કરે છે. દ્વિપક્ષીય મુકાબલામાંથી મળતા બ્રોડકાસ્ટિંગ અને સ્પોન્સરશિપના અધિકારો સંબંધિત ક્રિકેટ બોર્ડ પાસે જ રહે છે. હાલમાં ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા મોટા ક્રિકેટ બોર્ડ જ નિયમિત રીતે ટેસ્ટ ક્રિકેટનો આર્થિક ભાર ઉઠાવી શકે છે. જ્યારે અન્ય પૂર્ણ સભ્ય દેશો માટે ટેસ્ટ ક્રિકેટને આર્થિક રીતે ફાયદાકારક બનાવવું પડકારરૂપ બની રહ્યું છે. T20 લીગની વધતી લોકપ્રિયતાને કારણે વનડે ક્રિકેટની આકર્ષકતા પર પણ અસર પડી છે.
‘જિયોસ્ટાર’ના પૂર્વ સ્પોર્ટ્સ હેડ રહી ચૂકેલા સંજોગ ગુપ્તાએ કહ્યું કે ક્રિકેટને ટેનિસની વિમ્બલડન અને ગોલ્ફની ધ માસ્ટર્સ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંથી શીખવું જોઈએ. આ ટુર્નામેન્ટોએ પોતાની પરંપરા જાળવી રાખવાની સાથે સમયની સાથે પોતાને પ્રાસંગિક પણ બનાવી રાખ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ICCમાં વર્લ્ડ કપ પહેલાં વનડે ક્રિકેટ માટે અલગ અને સમર્પિત શેડ્યૂલ વિન્ડો તૈયાર કરવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે, જેથી આ ફોર્મેટને પૂરતું મહત્વ અને સતતતા મળી શકે. સંજોગ ગુપ્તાએ ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાયના અન્ય દેશોમાં પણ ટેસ્ટ ક્રિકેટ માટે વધુ સારા શેડ્યૂલની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

