India vs Zimbabwe Series: ભારતીય T20 ટીમના વાઇસ કેપ્ટન તિલક વર્માએ તાજેતરમાં ટીમના નબળા પ્રદર્શન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમ આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન એકપણ મેચ જીતી શકી નહોતી અને બે અલગ-અલગ શ્રેણીમાં તમામ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ડબ્લિનમાં આયર્લેન્ડે ભારતને 2-0થી હરાવી શ્રેણી પોતાના નામે કરી હતી. ત્યારબાદ હેરી બ્રૂકની કપ્તાની હેઠળની ઇંગ્લેન્ડ ટીમે પણ ભારતને 4-0થી કારમી હાર આપી હતી. હવે ઝિમ્બાબ્વે સામે શરૂ થનારી સિરીઝ પહેલા તિલક વર્માએ ટીમના ખરાબ પ્રદર્શન પાછળ વિદેશી પરિસ્થિતિઓમાં અનુભવના અભાવને મુખ્ય કારણ ગણાવ્યું છે.
તિલક વર્માના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમે મોટાભાગની T20 મેચો એશિયામાં રમી હતી. લાંબા સમય બાદ સીધા ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે તેની જ પરિસ્થિતિમાં રમવું ટીમ માટે પડકારજનક બન્યું. જો કે, આ દલીલ સંપૂર્ણપણે સાચી નથી. આંકડાઓ દર્શાવે છે કે T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પણ કર્યા હતા. જોકે, 2022 પછી પહેલીવાર આ વર્તમાન ટીમ ઇંગ્લેન્ડમાં T20 સિરીઝ રમવા ગઈ હતી.
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સામાન્ય પ્રદર્શનને કારણે તિલક વર્માની પણ ટીકા થઈ હતી. જોકે, તેમને તેમની પસંદગીના નંબર-3 સ્થાનના બદલે નંબર-5 અથવા નંબર-6 પર બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જે તેમની સ્વાભાવિક રમતને અનુકૂળ નહોતું. તિલકે સ્પષ્ટ કર્યું કે તેમની ધીમી બેટિંગ વ્યક્તિગત શૈલી નહીં પરંતુ ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અપનાવવામાં આવેલી રણનીતિ હતી.
તિલક વર્માના જણાવ્યા પ્રમાણે, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ બંને પ્રવાસ દરમિયાન ભારતીય ટોપ ઓર્ડર વારંવાર પાવરપ્લેમાં જ તૂટી પડતો હતો. આવી સ્થિતિમાં માત્ર આક્રમક શોટ રમવાના બદલે ઇનિંગ્સને સંભાળવાની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ હતી.
તેમણે કહ્યું કે જ્યારે ટીમના ચારથી પાંચ વિકેટ ઝડપથી પડી જાય, ત્યારે માત્ર મોટા શોટ રમવાના પ્રયાસમાં વિકેટ ગુમાવવી સમજદારી નથી. તેમનો સ્વભાવ પ્રથમ બોલથી આક્રમક બેટિંગ કરવાનો છે, પરંતુ વાઇસ કેપ્ટનશીપની વધારાની જવાબદારીને કારણે તેમને ટીમના હિતમાં વધુ સમજદારીપૂર્વક અને જવાબદારી સાથે નિર્ણયો લેવા પડ્યા.

