પહેલીવાર કેમેરા સામે આવી અનાયા બાંગર, મીડિયાના સવાલોને આપ્યા બેબાક જવાબ, જાણો નવી સફરને લઈને શું કહ્યું

Rudra
3 Min Read

મુંબઈ: પૂર્વ ભારતીય બેટિંગ કોચ સંજય બાંગરની દીકરી અનાયા બાંગરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, પરંતુ પહેલીવાર તે આ રીતે મીડિયા સામે આવ્યા હતા. અનાયા હવે ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા જઈને ક્રિકેટ રમવાની તૈયારી કરી રહી છે. ઓસ્ટ્રેલિયાએ અનાયા બાંગરને ટ્રાન્સ ક્રિકેટર તરીકે ક્રિકેટ રમવાની તક મળી છે. પોતાની ક્રિકેટિંગ સફર અને મેદાન પર વાપસી અંગે વાત કરતાં અનાયાએ જણાવ્યું હતું કે, “હું માર્ચ 2027થી એલીટ ક્રિકેટ રમવાના હેતુથી ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છું.”

તેમણે કહ્યું કે આ કોઈ આપમેળે અથવા અનૌપચારિક પ્રક્રિયા નહોતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસે મહિલા રમતોમાં નિષ્પક્ષતા, સ્પર્ધાત્મક અખંડિતતા અને સમાવેશ વચ્ચે સંતુલન જાળવવા માટે એક ફ્રેમવર્ક છે અને તેમના કેસ પર પણ આ જ ફ્રેમવર્ક હેઠળ વિચાર કરવામાં આવ્યો છે. અનાયાના જણાવ્યા અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મંજૂરીથી તેમની સમજ મુજબ માર્ચ 2027થી એલીટ મહિલા ક્રિકેટ માટે તેમની પાત્રતા લાગુ નીતિની જરૂરિયાતો પર નિર્ભર રહેશે. તેમાં તે સમયે કરવામાં આવનારા બ્લડ ટેસ્ટનું મૂલ્યાંકન પણ સામેલ છે.

જો માર્ચ 2027માં થનારી ટેસ્ટમાં એ વાતની પુષ્ટિ થાય કે તેઓ જરૂરી ટેસ્ટોસ્ટેરોન માપદંડ પૂર્ણ કરે છે, તો તેઓ એલીટ મહિલા ક્રિકેટ માટે પસંદગી પ્રક્રિયામાં સામેલ થવા માટે પાત્ર બનશે. તેમાં વુમન્સ બિગ બેશ લીગ (WBBL) સુધી પહોંચવાનો રસ્તો પણ સામેલ છે.

જ્યારથી અનાયા બાંગરને ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમવાની મંજૂરી મળ્યાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી લોકોના મનમાં એક સવાલ છે કે શું તેઓ હવે ઓસ્ટ્રેલિયાની નેશનલ ટીમ માટે પણ રમી શકશે? આ અંગે અનાયાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મને એક રસ્તો બતાવ્યો છે, તેનો અર્થ એ નથી કે મને ટીમમાં સ્થાન મળી ગયું છે.” તેમણે વધુમાં કહ્યું કે હજુ તેમણે ટ્રેનિંગ કરવી પડશે, સ્પર્ધામાં ભાગ લેવો પડશે, સારું પ્રદર્શન કરવું પડશે અને તક મેળવવી પડશે.

અનાયાએ કહ્યું, “મને મારા ભૂતકાળ કે મારી ઓળખના કારણે ક્રિકેટ ટીમમાં સ્થાન મળવાની અપેક્ષા નથી. હું ઈચ્છું છું કે મારા ક્રિકેટના કારણે મને ક્રિકેટ ટીમમાં સ્થાન મળે.”

અનાયા બાંગરનો જન્મ પુરુષ તરીકે થયો હતો અને તેમનું પહેલાનું નામ આર્યન હતું. બાદમાં તેમણે જેન્ડર-અફર્મિંગ સર્જરી અને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી કરાવી હતી. અનાયાએ માર્ચ 2026માં જેન્ડર-અફર્મિંગ સર્જરી કરાવી હતી. અનાયા અગાઉ મુંબઈમાં અંડર-19 સ્તરે ક્રિકેટ રમી ચૂક્યા છે. તે સમયગાળા દરમિયાન ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાન અને તેમના ભાઈ મુશીર ખાન જેવા ખેલાડીઓ તેમના ટીમમેટ રહી ચૂક્યા હતા. હવે અનાયા ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટમાં વાપસી કરીને એલીટ સ્તરે રમવાનું સપનું પૂરું કરવાની તૈયારીમાં છે.

Share This Article